રાજકોટ તા.૨૬ :
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મહેશકુમારે આજે રાજકોટ ડિવિઝનની મુલાકાત લીધી હતી. જેમણે પ્લેટફોર્મ પર ઈન્સ્પેક્શન કર્યુ હતુ અને ત્યાર બાદ કિડ્ઝ ઝોન, એડવાન્સ એનર્જી મીટર, હેરિટેજ ઝોન સહિતના લોકાર્પણ કર્યા હતા. દરમિયાન, રાજકોટ ડિવિઝનને નવી ટ્રેનો ન ફાળવવા અંગે કોચની ઘટને કારણભૂત ગણાવી હતી. જ્યારે સોમનાથ-દ્વારકા ટ્રેન માર્ચના અંત સુધીમાં શરૂ થઈ જવાની ખાત્રી આપી હતી.
- વીરમગામ-સુ.નગર ડબલ ટ્રેકની ૩૦ ટકા કામગીરી હજૂ બાકી !
રાજકોટ ખાતે આવેલાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મહેશકુમારે આજે સવારથી વીરમગામ, સુરેન્દ્રનગર સ્ટેશનોનું ઈન્સ્પેક્શન કર્યા બાદ સાંજે રાજકોટ પહોંચ્યા હતા. અહિં તેમણે પ્લેટફોર્મ ઈન્સ્પેક્શન અને ત્યાર બાદ લોકાર્પણ કર્યા હતા. આ તકે જી.એમ. મહેશકુમારે જણાવ્યુ કે, વિરમગામ- સુ.નગર ડબલ ટ્રેકની કામગીરી હજૂ ત્રીસેક ટકા જેટલી બાકી છે. જે વર્ષ-૨૦૧૪ સુધીમાં પૂર્ણ થઈ ગયા બાદ સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રને ઓછી ટ્રેન ફાળવાતી હોવાના અસંતોષ અંગે તેમણે જણાવ્યુ કે, રેકની સંખ્યા ઓછી હોવાના કારણે સૌરાષ્ટ્રને નવી ટ્રેનો ફાળવી શકાતી નથી. જો કે, સોમનાથ-દ્વારકા વચ્ચે ગત વર્ષે ફાળવાયેલી ટ્રેન માર્ચના અંત સુધીમાં શરૂ થઈ જવાની હૈયાધારણા તેમણે આપી હતી. આગામી વર્ષમાં આધુનિકરણ પર ધ્યાન આપવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યુ હતુ. જેના અનુસંધાને કામગીરીને સંપૂર્ણ ટોકનલેસ કરી, ઓટોમેટિક કરવામાં આવશે. જ્યારે સોમનાથને નવી ટ્રેનો ન ફાળવવા માટે તેમણે પાથ ન હોવાનું કારણ દર્શાવ્યુ હતુ.