રાજકોટ તા. ૨૬
સિવિલ હોસ્પિટલનાં સ્વાઇન ફલૂ વોર્ડની આજે ઇન્ચાર્જ કલેકટરે અજય ભાદુએ મૂલાકાત લઈ દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે તેમની રજુઆતો સાંભળી યોગ્ય નિરાકરણ માટે લાગતા વળગતા વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. પાણીની મુશ્કેલી હોવાની ઉગ્ર રજુઆત થતાં સિટી ઇજનેરને પાણીની સમસ્યા તાકીદે દુર કરવા આદેશ આપ્યો હતો. તેમજ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં પાણી લોકોને મળી રહે તેવું આયોજન કરવા તાકીદ કરવા જણાવ્યું હતું.
- દૈનિક બે ટેન્કર પાણી મંજૂર : સિવિલ સર્જન દેશમુખ સાથે ચર્ચાઓ કરી
સિવિલ હોસ્પિટલમાં તથા સ્વાઈન ફ્લૂ વોર્ડમાં દર્દીઓને પારાવાર મુશ્કેલી તેમજ ગંદકીના ઠેર ઠેર ઢગલાઓ, મચ્છરોનો ત્રાસ વિગેરે બાબતના પ્રશ્નો અગાઉ ઉઠયા હતા. ઈન્ચાર્જ કલેકટરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્વાઇન ફલૂના દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમજ તેમના પરિવારજનોને મળી સાવચેતી રાખવા અપીલ કરી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને મળવા આવતાં સગાઓએ બને એટલી ઓછી મુલાકાત લેવી નાના બાળકો અને વૃદ્ધોને મુલાકાત બને ત્યાં સુધી ટાળવી. સાથો-સાથ સ્વાઇન ફલૂ જેવા મહામારીને અટકાવવા લોકોમાં જાગૃતિ જરૂરી હોવાનું ઉમેર્યુ હતું. તેમજ સિવિલ સર્જન દેશમુખ અને અન્ય તબીબો સાથે મુલાકાત લીધી હતી. દરમિયાન મહાપાલિકાએ દૈનિક બે પાણીના ટેન્કર મંજુર કરી દીધા હતાં.
હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યા
રાજકોટ : સરકારી હોસ્પિટલમાં દરેક વોર્ડમાં ગંદકી અને મચ્છરોના ત્રાસ અંગે ફરિયાદો કરવામાં આવી હતી. હોસ્પિટલમાં હાલ, સ્વાઇન ફલૂના ત્રણ વોર્ડમાંથી બે વોર્ડ ભરેલા છે. એક ખાલી છે. દર્દીના સગાઓએ રજુઆત કરી હતી કે, હોસ્પિટલમાં દરરોજ સફાઇ થતી નથી. હોસ્પિટલના અમુક કર્મચારીઓ મોબાઇલ ઉપર સતત વાતો કરતા હોવાનું અને સારવારમાં પુરતુ ધ્યાન આપતા ન હોવાની ફરિયાદો કરી હતી.