ભુજ, તા.૧
ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા કેટલાક સમયથી રખડતાં ઢોરને પકડીને ડબ્બ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. હજુ પણ અનેક ગાય સહિતનાં પશુઓ શહેરમાં મોટા પ્રમાણમાં રખડી રહ્યા છે. જે પાલિકા તંત્રની નજરે નથી ચડતાં ત્યારે આજે શરદબાગ પેલેસમાં બાંધેલા ઘોડા છોડીને સરકારી પાંજરામાં પૂરી નાખ્યા હતા.જો કે, ઘોડાના માલિક કોણ છે અને તેની સાર સંભાળ માટે શું પગલાં લેવાશે. તે અંગે કર્મચારીઓને પણ કંઇ જ ખબર નથી.
કચેરીનાં સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરનાં ખેંગારપાર્ક નજીક આવેલા શરદબાગ પેલેસમાં ત્રણ ઘોડા કે જે પેલેસમાં નુકસાન કરી રહ્યા હતા.
જે અંગેની જાણ પેલેસ સંચાલકો દ્વારા પાલિકાને કરવામાં આવતાં પાલિકા કર્મચારીઓ પાંજરૃં લઇને પેલેસમાં દોડી ગયા હતા અને ત્રણેય ઘોડાઓને પકડીને પાલિકામાં લઇ આવ્યા હતા. એક તરફ શહેરીજનો માટે રખડતાં ઢોરોનો ત્રાસ હવે અસહ્ય બન્યો છે, ત્યારે તેને પકડવામાં તંત્રને જાણે જરાય રસ ન હોય તેમ હવે જે નથી નડતા એવા પ્રાણીઓને પકડીને પાંજરામાં પૂરવામાં આવી રહ્યા છે. નગરજનોંની અનેકવારની રજૂઆતો હોવા છતાં પણ જે તે વિસ્તારમાંથી ગાયોને પકડવામાં આવતી જ નથી, તો બીજી તરફ ઘોડો કે જે પાલતુ અને શાંતિપ્રિય ગણાતું પ્રાણી છે જેને પકડીને પાંજરામાં પૂરીને સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ઘણા સમયથી પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ અનેક ઢોર શહેરમાં જ્યાંને ત્યાં રખડી રહ્યા છે અને ઢોરવાડાઓ પણ ધમધમી રહ્યા છે , ત્યારે આ બંને સમસ્યાઓ પ્રત્યે પાલિકાએ જાગૃત થઇને તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઇએ, તેવી માગ રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે પાલિકાનાં મુખ્ય અધિકારીનો સંપર્ક સાધતાં તેઓ કંઇ જાણતા ન હોવાનું જણાવ્યું હતું.