ભુજ, તા.૧
રાજાશાહીનાં સમયગાળા દરમિયાન ભુજમાં વરસાદી પાણીનાં સંગ્રહ માટે તળાવ, વાવ તથા કૂવાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાંથી આજે આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા જ તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અથવા તો તે સંગ્રહ કરી શકવાની સ્થિતિમાં છે. પાલિકા દ્વારા સિંચાઇ વિભાગનાં સહયોગથી શહેરનાં ૧૦ તળાવને નવસાધ્ય કરવામાં આવશે. આ ઉપરાંત ૧૦ વાવ-કૂવાની પણ સાફ-સફાઇ કરીને પાણીના સંગ્રહ યોગ્ય બનાવવામાં આવશે.
- કલેક્ટરની બેઠક અંતર્ગત થયેલી ચર્ચામાં શહેરનાં ૧૦ કૂવાનો પણ સમાવેશ
નગર પ્રમુખ નરેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે, ગત વર્ષે ચોમાસાં દરમિયાન ઓછા વરસાદનાં કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વ્યાપક તંગી જોવા મળી રહી છે. ભુજ શહેરમાં પણ હમીરસર સહિતનાં તળાવોમાં પાણીનું એક ટીપું પણ બચવા પામ્યું નથી. વરસાદી પાણીનો વધુને વધુ સંગ્રહ થઇ શકે. તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે શહેરની આસપાસ આવેલા ૧૦ તળાવને નવાસાધ્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે સિંચાઇ વિભાગને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને હવા આગામી સમયમાં સિંચાઇ વિભાગ દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી તળાવોને નવસાધ્ય કરવામાં આવશે. કેટલાક તળાવોમાં દબાણો કરવામાં આવ્યા છે. જેને પણ કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવશે. શહેરનાં ૪૩ તળાવમાંથી ૧૦ ને ચોમાસાં પહેલાં જ નવસાધ્ય કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં આવેલા ૧૦ વાવ-કૂવાને પણ રિચાર્જ કરવામાં આવશે. સરકારના જલ મંદિર અભિગમ અંતર્ગત રૂ.૨૦ લાખનાં ખર્ચે શહેરનાં વિવિધ ૧૦ વાવ-કૂવાને રિચાર્જ કરીને ભુગર્ભ જળને ઉંચા લાવવામાં આવશે. આ અંગે ઠરાવ કરીને મંજૂરીમાં મોકલવામાં આવ્યો છે.
નવસાધ્ય થનારા જળાશયો
પ્રાગસર તળાવ (સરપટ ગેટ સામે)
૨૪ કૂવા આવનું સ્લુઝ વાવ (ઉમાનગર પાસે)
ડોસરાઇ તળાવ (સંજોગનગરની પાછળ)
દેશલપર તળાવ (ભીડ ગેટ પાસે)
જીવણરાઇ તળાવ (સંતોષીમાંના મંદિર પાસે)
મઇધરાઇ તળાવ (કચ્છ યુનિર્વિસટી પાછળ)
ધુનારા તળાવ (એરફોર્સ સ્ટેશન સામે)
છછી તળાવ (સિવિલ એરપોર્ટ સામે)
રાજગોરાઇ તળાવ સિવિલ એરપોર્ટ પાછળ)
રોમાનિયા ટેન્ક (વોર્ડ નં.૫ કોડકી રોડ, નટવાસ)
હમીરસરની આસપાસનાં વાવ-કૂવા
વોરા વાવ તથા છનુવાવ (ફતેહમામદનો ખોરડા પાસે)
ખોજા વાવ (પાવડી પાસે)
કાપડી વાવ (આશાપુરા મંદિર પાસે)
ચરખી વાવ (પારેશ્વર ચોક)
બાઇ રાજબા વાવ (હાટકેશ્વર મંદિર- બંધ)
દેડકા વાવ (ગાંધી પ્રતિમા પાસે)
સેલોર વાવ (નવું સ્વામિનારાયણ મંદિર)
ભાડ વાવ (મહાદેવ નાકું)
આંબલી વાવ (મહાદેવ નાકું)
કોઠા વાવ (આશાપુરા મંદિર પાસે)