ભાવનગર, તા.પ
વલભીપુર તાલુકાના પચ્છેગામમાં ગત રાત્રિના નાસ્તિક તસ્કરોએ એક સાથે ત્રણ-ત્રણ દેવસ્થાનોના તાળાં તોડયાની ઘટના પ્રકાશમાં આવતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેમાં એક માત્ર પચ્છેગામ જૈન દેરાસરમાંથી જ તસ્કરો ૮પ હજારના આભૂષણ-રોકડની ચોરી કરી લઈ ગયા હોવાનું પોલીસ દફ્તરે નોંધાયુ છે જ્યારે અન્ય બે મંદિરમાંથી પણ ચાંદીના છત્તર ચોરાયા હતા.
- પોણા લાખની ચોરી : એક જ રાતમાં ત્રણ-ત્રણ દેવસ્થાનોમાં તસ્કરીથી ભાવિકોમાં રોષ
પચ્છેગામમાં ગઈ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ જૈન દેરાસરના મુખ્ય દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે બાદ નાસ્તિક તસ્કરોએ ભગવાનને ચડાવેલ ચાંદીનો મુગટ, ચાંદીનો બાજુ, ચાંદીનું શ્રીફળ, છત્તર નં.૩, ચાંદીની દિવડી, સોનાના હાર સહિતના ૪ થી પ કિલોના સોના-ચાંદીના ઘરેણા અને દાનપેટી તોડી ૧પ હજાર રૂપિયાની રોકડની ચોરી કરી લઈ ગયા હતા. ત્યારબાદ તસ્કરોએ ગામમાં આવેલા ચામુંડા માતાજીનું મંદિર અને એક અન્ય મંદિરમાંથી પણ ચાંદીના છત્તરની ચોરી કરી હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતાં જ સિટી ડીવાયએસપી લીંબાસીયા, એલસીબી, એસઓજી, વલભીપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
બનાવ અંગે પચ્છેગામ, ચોરા પાસે રહેતા ચંદ્રકાંતભાઈ જગજીવનદાસભાઈ શાહ (ઉ.વ.૬૦)એ જૈન દેરાસરમાંથી થયેલી ચોરી અંગે વલભીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસ આઈ કે.પી.પરમારે હાથ ધરી છે. જિલ્લામાં થોડા સમયથી તસ્કરોએ તરખાટ મચાવી એક પછી એક મંદિર અને દેરાસરને નિશાન બનાવ્યા છે ત્યારે ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે અને આવા નાસ્તિકોને તુરંત ઝડપી લઈ દાખલા રૂપ સજા કરવામાં આવે તેવી ચો-તરફથી માગ ઉઠવા પામી છે.