નવી દિલ્હી, તા. ૫
હૈદરાબાદમાં થયેલા ટ્વિન બ્લાસ્ટ બાદ આઈએસઆઈ એજન્ટ દ્વારા ભારતીય અધિકારીઓ પાસેથી જ બ્લાસ્ટની મહત્ત્વની વિગતો મેળવવામાં આવી હતી તેવા અહેવાલોએ જોર પકડયું છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના એહવાલ પ્રમાણે બ્લાસ્ટ થાયના કેટલાક કલાકો બાદ આઈએસઆઈના કુખ્યાત એજન્ટ મોહમ્મદ તસ્લીમે પોતાને ઇન્ડિયન મિલિટરી ઇન્ટેલિજન્સનો અધિકારી જણાવીને નેશનલ સિક્યોરિટી ગાર્ડ(એનએસજી)ના અધિકારી અને હૈદરાબાદ પોલીસના એસીપી પાસેથી બ્લાસ્ટની તપાસની વિગતો મેળવી લીધી હતી. અત્યારે તો એ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે બંને અધિકારીઓ તેની વાતમાં કેટલા ફસાયા હતા અને કેટલી માહિતી આપી હતી.
આઈબીના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદ બ્લાસ્ટના કેટલાક કલાકો બાદ આઈએસઆઈ એજન્ટ દ્વારા દિલ્હીના લેન્ડલાઇન નંબર પરથી એનએસજીના એક અધિકારીના મોબાઇલ પર ફોન કરવામાં આવ્યો હતો. તેણે ફોન પર બ્લાસ્ટ અંગે માહિતી માગી પણ કેપ્ટન કક્ષાના આ અધિકારીઓ ફોન પર માહિતી આપવાનો ઈનકાર કરી દેતાં તેણે ફોન મૂકી દીધો હતો ત્યાર પછી તેણે અન્ય એક કેપ્ટન કક્ષાના જ અધિકારીને ફોન કર્યો હતા, જોકે આ વખતે તેણે અધિકારીને તેનાં નામથી જ બોલાવતાં અધિકારી ભોળવાઈ ગયો હતો. તસ્લીને આ અધિકારીને હૈદરાબાદ બ્લાસ્ટની તપાસ કરવા માટે રવાના થયેલી એનએસજીની ટુકડી અને અર્ધસૈનિક દળોની સંખ્યા વિશે માહિતી માગી હતી અને અધિકારીએ તે માહિતી આપી પણ દીધી હતી.
એનએસજીના વડા અરવિંદ રંજને જણાવ્યું કે આ બાબતની તપાસ ચાલી રહી છે,મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ સંવેદનશીલ કેસમાં ફોન પર કોઈ પણ માહિતી આપવા માટે મનાઈ કરવામાં આવી છે, ખાસ કરીને સૈન્ય, પોલીસ, અર્ધસૈનિક દળો વગેરેની કામગીરી વિશે તો સહેજ પણ ચર્ચા કરવી નહિ તેવા આદેશ છે. તસ્લીમે હૈદરાબાદ પોલીસના એસીપીને પણ ફોન કરીને મિલિટરી ઇન્ટેલિજન્સ અધિકારીના નામે વાતચીત કરી હતી. તેની સાથેની વાતચીતમાં તસ્લીમે ઘટનાસ્થળે હાજર પોલીસ અને વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલા આઈઈડીની સંખ્યા અંગે જાણકારી માગવામાં આવી હતી.
ભટકલ સહિત ૧૦ સામે બિનજામીનપાત્ર વોરંટ
લશ્કરી અધિકારીનાં નામે પોલીસ પાસેથી પણ હૈદરાબાદ બ્લાસ્ટની તપાસની વિગતો જાણી લીધી
હૈદરાબાદ બ્લાસ્ટની તપાસ કરી રહેલી એનઆઈએ ટીમ દ્વારા રજૂ કરાયેલા અહેવાલના આધારે એનઆઈએની ખાસ અદાલત દ્વારા ઇન્ડિયન મુજાહિદ્દીનના સ્થાપક રિયાઝ ભટકલ અને અન્ય નવ આતંકવાદીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. બીજી બાજુ આઈએમના અન્ય બે આતંકવાદી સૈયદ મકબુલ અને ઈમરાન ખાનને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટે તેમને ૧૩મી માર્ચ સુધી એનઆઈએ કસ્ટડિમાં રાખવાનો આદેશ આપ્યો હતો. હૈદરાબાદ બ્લાસ્ટ બાદ પોલીસ દ્વારા આ મુદ્દે ખાસ તપાસ સફળ ન રહેતાં આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે, જોકે સરકાર એવો દાવો કરે છે કે તેમને મહત્ત્વના પુરાવા મળ્યા છે પણ આ કેસમાં તપાસ આગળ વધતી હોય તેવા કોઈ અણસાર દેખાતા નથી.
ઇન્ટરનેટ ટેલિફોન પર પ્રતિબંધની માગ
આઈએસઆઈના એજન્ટ તસ્લીમે એનએસજી અને હૈદરાબાદ પોલીસના એસીપીને દિલ્હીના કોઈ લેન્ડલાઈન પરથી ફોન કર્યાનો પ્રાથમિક અહેવાલ આવ્યો હતો. જો કે પાછળથી એવો ખુલાસો થયો છે કે આ ફોન દિલ્હીથી નહીં પણ પાકિસ્તાનથી કરવામાં આવ્યો હતો. એનએસજીને શંકા છે કે તસ્લીમ દ્વારા ઈન્ટરનેટ ટેલિફોનિંગ સિસ્ટમ દ્વારા કોલ કરવામાં આવ્યો હતો. તેના કારણે સુરક્ષા એજન્સીઓએ ઈન્ટરનેટ ટેલિફોન પર પ્રતિબંધની માગ કરી હતી.