નવી દિલ્હી, તા. ૫
બારામુલ્લા હત્યા અંગે વિપક્ષોએ હંગામો કરતાં ઓમર વ્યથિત
બારામુલ્લા ખાતે એક વ્યક્તિની હત્યા થવાના મુદ્દે વિરોધપક્ષો દ્વારા જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતાં ઓમર અબ્દુલ્લા રડી પડયા હતા. વિધાનસભામાં વ્યથિત થઈને વાતચીત કરી રહેલા અબ્દુલ્લાએ જણાવ્યું કે રાજ્યમાં દરરોજ કોઈને કોઈનાં મૃત્યુના સમાચાર આવે છે અને પીડીપી દર વખતે મને જ તેના માટે કારણભૂત ગણાવે છે. તે કેસમાં મૃત્યુ પામનાર વ્યક્તિનો જ વાંક હતો છતાં વિરોધપક્ષો મને કારણભૂત ગણાવે છે. બારામુલ્લામાં થયેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા યુવાનના કેસમાં તપાસ ચાલી રહી છે. આ કેસમાં દોષિત જાહેર થનારા દરેકને સખત સજા કરવામાં આવશે.
બારામુલ્લા વિસ્તારમાં હજારો લોકો દ્વારા રસ્તા પર ઊતરી આવીને વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. ધીરેધીરે આ વિરોધ હિંસક થવાની ભીતિ હતી, તેને કારણે સુરક્ષા ટુકડીઓ દ્વારા તેમને રોકવા માટે ધમકી પણ આપવામાં આવી હતી, જોકે પાછળથી ટોળા પર ગોળીબાર કરાયો અને તેમાં એક યુવાનનું મોત થયું અને ચાર લોકો ઘાયલ થયાં હતાં. હકીકતમાં ટોળું હિંસક થઈ રહ્યું હતું અને તેમના દ્વારા સુરક્ષા જવાનો પર પથ્થરમારો શરૃ કરવામાં આવ્યો હતો. આ ટોળાને વિખેરવા માટે જ સુરક્ષા જવાનોએ ફાયરિંગ કર્યું હતું.
આ અંગે તપાસ ચાલી રહી છે. લશ્કરના અધિકારીઓ દ્વારા જ આ કેસમાં વિગતો ભેગી કરવામાં આવી રહી છે.