અમદાવાદ :
નરોડા-કૃષ્ણનગરની કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઇસ્કુલમાં ઓપન સ્કુલ મારફતે ધો. ૧૨ના ૧૯૨ વિદ્યાર્થીઓને પરીક્ષાના બે દિવસ પહેલા પણ રસીદ ન મળતા હોબાળો મચી ગયો હતો. જો કે શાળામાં ફરજ પરના કલાર્કે બોર્ડમાં ફોર્મ જ જમા ન કરાવતા તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જાય તેવી સ્થિતી ઉભી થઇ હતી. આજે શાળાના સત્તાધીશોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આખરે બોર્ડની કચેરીએ સત્તાધીશોને વિદ્યાર્થી દીઠ રૂ. ૧૦૦૦નો દંડ ફટકારી પરીક્ષામાં બેસવા દેવાની મંજુરી આપી છે.
- શાળાના ક્લાર્કે પૈસા ચાંઉ કરી બોર્ડમાં ફોર્મ જમા ન કરાવ્યાં
કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઇસ્કુલ ગઇકાલે વાલીઓ રસીદ લેવા માટે ગયા ત્યારે બીજા દિવસે આપવાની વાત કરી હતી. આજે ફરીથી સવારે ૯.૩૦ વાગ્યે વાલીઓ ગયા હતા ત્યારે શિક્ષકો કોઇ જવાબ આપવા માટે તૈયાર ન હતા પરીણામે વાલીઓમાં રોષ વ્યાપી ગયો હતો. ઉગ્ર રજુઆત કરતા વાલીઓને જાણવા મળ્યુ હતું કે શાળામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ગીરીશભાઇ પટેલ વિદ્યાર્થીઓના ફોર્મના પૈસા લઇ રફુચક્કર થઇ ગયા છે. તેમને એકપણ વિદ્યાર્થીઓને બોર્ડમાં ફોર્મ જમા કરાવ્યા નથી. વાલીઓને છેલ્લા દિવસ સુધી અંધારામાં રાખતા તેઓ ઉગ્ર રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી ન જાય તેમ માટે શાળાના સત્તાધીશો શિક્ષણ બોર્ડની કચેરીએ દોડી ગયા હતા.આ અંગે શિક્ષણ બોર્ડના ચેરમેન આર.આર વરસાણીએ જણાવ્યુ કે જે કલાર્ક પૈસા લઇને ભાગી ગયો છે તેની વિરૂદ્ધ પહેલા પોલીસ ફરિયાદ દાખલ કરાવો અને બીજું તમારે વિદ્યાર્થી દીઠ પેનલ્ટી ભરવી પડશે. આમ શાળાના સત્તાધીશોએ સંમતિ દર્શાવતા તમામ વિદ્યાર્થીઓને રસીદ આપવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થી દીઠ દંડ પેટે રૂ. ૧૦૦૦ એવા ૧૯૨ વિદ્યાર્થીઓના ૧.૯૨ લાખ શાળાના સત્તાધીશો પાસે ભરાવ્યા હતા.
બીજીતરફ ફરિયાદી રમેશભાઇએ કલાર્ક ગીરીશભાઇ પટેલ (રહે વસ્ત્રાલ) વિરૂધ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેયાં શાળાના કલાર્કે ફોર્મ પેટે રૂ. ૭૦૦ એવા ૧૯૨ વિદ્યાર્થીઓના રૂ.૧.૩૫ લાખ ઉઘરાવ્યા હતા.