અમદાવાદ :
વસ્ત્રાપુરના ચકચારી હિટ એન્ડ રન પ્રકરણમાં સંડોવાયેલા નબીરા વિસ્મય શાહની જામીન અરજી પરની સુનાવણી આવતીકાલ બુધવાર પર મુલતવી રહી છે. આજે પોલીસ ઇન્સ્પેકટર કોર્ટ સમક્ષ હાજર રહી શકયા ન હતા, તેમણે કોર્ટ સમક્ષ વિનંતી રિપોર્ટ મોકલ્યો હતો કે અન્ય એક અગત્યના કેસની તપાસમાં આજે તેઓ રોકાયેલા હોવાથી તેઓ હાજર રહી શકશે નહી.
- તપાસ પોલીસ અધિકારી ગેરહાજર રહેતાં સુનાવણી મંગળવારે થઈ ન શકી
વસ્ત્રાપુર વિસ્તારમાં દોઢસોની સ્પીડે બીએમડબ્લ્યુ કાર ચલાવી બે નવયુવાનોના જીવ લેનાર વિસ્મય શાહે કરેલી જામીન અરજીમાં કોર્ટે અગાઉ તપાસ અધિકારીને
હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. જોકે આજે તપાસ અધિકારીએ કોર્ટ સમક્ષ એક વિનંતી અહેવાલ રજુ કરી એવી રજૂઆત કરી હતી કે તેઓ આજે એક જરૂરી કેસની તપાસમાં રોકાયેલા છે. તેથી કોર્ટ સમક્ષ આજે હાજર રહી શકે તેમ નથી. આવતીકાલે આ કેસમાં તપાસ અધિકારી દ્વારા એફિડેવિટ ફાઇલ થાય તેવી શકયતા છે. દરમ્યાન કોર્ટે આ જામીન અરજી પરની સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી છે.
બીજી તરફ વિસ્મય શાહને વધુ રિમાન્ડ પર મેળવવા માટે પોલીસ દ્વારા રિવિઝન અરજી કરવા માટે કાયદા વિભાગને વિનંતી અહેવાલ મોકલ્યો છે. જોકે આજ સુધી કાયદા વિભાગે તે મંજુરી આપી નથી. દરમ્યાન આવતીકાલ સુધીમાં વધુ રિમાન્ડ પર સોંપવા માટે રિવિઝન કરવા માટે કાયદા વિભાગ મંજુરી આપે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ વિસ્મય શાહ તેના હિટ એન્ડ રન કેસમાં જેલમાં છે ત્યારે બીજી તરફ તેના પિતા અમિત શાહ પણ તેમની સામે નોંધાયેલા અન્ય ગુનામાં પોલીસ ધરપકડથી બચવા નાસતા ફરે છે. હિટ એન્ડ રનમાં જ પોલીસને ગેરમાર્ગે દોરનાર અમિત શાહની હજુ ધરપકડ બાકી છે.