અમદાવાદ,તા.૫
દિનપ્રતિદિન વધતો જતો સ્વાઇનફલૂનો મૃત્યુઆંક ૭૫એ પહોંચ્યો છે.આજે પહેલીવાર સ્વાઇનફલૂથી એક જ દિવસમાં ૬ વ્યકિતઓના મોત નીપજ્યા છે. ભાવનગરમાં સારવાર લઇ રહેલા બે દર્દીઓના આજે મોત થયા હતા.જ્યારે રાજકોટમાં એક,સુરતમાં એક,મહેસાણામાં એક અને અમદાવાદમાં એક દર્દીનું મોત નીપજયું હતું.
- સુરતમાં હઝીરાની કંપનીના મેનેજરનું સારવાર દરમિયાન મોત : મૃત્યુઆંક ૭૫
આમ એક જ દિવસમાં ૬ દર્દીઓના સ્વાઇનફલુથી મોત થતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ-રાજકોટમાં સ્વાઇન ફ્લૂના આતંક બાદ સુરતમાં પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દીનુ મોત થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.વેસુમાં રહેતા અને હજીરાની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાનનો પંદરેક દિવસ અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મિશન હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.જ્યારે રાજકોટમાં ૬૦ વર્ષીય વૃધ્ધાનું મોત થયુ હતું.અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એક આધેડનું મૃત્યુ થયું હતું.ભાવનગરના ઘોઘા તાલુકાના ત્રંબક ગામની એક મહીલા અને પાલીતાણા ગામના ખાખરીયા ગામના એક વૃધ્ધાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.સ
સમગ્ર રાજ્યને સ્વાઇનફલુએ પોતાના ભરડામાં લીધું છે.શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સ્વાઇનફલુના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે.રાજ્યમાં સ્વાઇનફલુના કુલ ૩૯૦ જેટલા દર્દીઓ નોંધાયા છે.જેમાં ૨૦૫ સાજા થઇ ગયા છે અને ૧૧૧ હાલ સારવાર હેઠળ છે.આ રોગમાં અત્યારસુધીમાં ૭૫ દર્દીઓના મૃત્યુ થયા છે.
સ્વાઇનફલૂઃ વધતા ઉપદ્રવના પગલે સરકારની સમીક્ષા બેઠક
અમદાવાદ : રાજ્યમાં ૭૫ લોકોના જીવ લેનાર સ્વાઇનફલૂનો કહેર દિનપ્રતિદિન વધતો જઇ રહ્યો છે. સ્વાઇનફલૂના વધતા જતા આતંકને લઇ આરોગ્ય તંત્ર દ્વારા આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આજે આરોગ્ય રાજ્યમંત્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં સ્વાઇનફલૂ અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આરોગ્ય રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર, તંત્ર દ્વારા સ્વાઇનફલૂના નિદાન માટે રાજ્યની અમદાવાદ-સુરત તથા રાજકોટની મેડિકલ કોલેજોની લેબોરેટરીમાં વિનામૂલ્યે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્વાઇનફલૂના રોગની જાગૃતતા માટે ૧૦૦થી વધુ બનેલી તજજ્ઞાની ટીમ દ્વારા ૨૨ તાલુકા અને શહેરી વિસ્તારોમાં સર્વે તેમજ જનજાગતિ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.