વડોદરા, તા. ૫
શહેરના કારેલીબાગ તુલસીવાડીમાં આવેલા આલ્મીન કોમ્પ્લેક્ષમાં રહેતા ભંગારના વેપારીની આજે વહેલી સવારે તેના જ પૂર્વ નોકરે ચપ્પુના ખચાખચ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી.
- આરોપી ચપ્પુ તળાવમાં ફેંકીને પોલીસ સમક્ષ હાજર થયો
તુલસીવાડી આલ્મીન કોમ્પ્લેક્ષમાં રહેતો અકરમઅલી અંસારી (ઉં.વ.૪૩) ભંગારનો ધંધો કરતો હતો. તેણે પોતાના ભંગારના ડેલામાં અનવરશા બચુશા દિવાન (રહે, તુલસીવાડી)ને કામ પર રાખ્યો હતો. ચાર સંતાનોના પિતા અકરમને એવી શંકા થઇ હતી કે, તેની પત્ની નોકર અનવરશા સાથે આડોસંબંધ ધરાવે છે. માટે એક વર્ષ અગાઉ અનવરશાને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. છતાં અકરમના મનમાં ઘર કરી ગયેલી શંકા જવાનું નામ લેતી ન હતી. તે વારંવાર અનવરશાને પોતાની પત્ની સાથેના સંબંધોને લઈ ઠપકો આપતો હતો.
આજે વહેલી સવારે છ વાગે અકરમઅલી ઘર નજીક ગુલ્લુ પતરાવાલાની દુકાન પાસે દૂધ લેવા ગયો હતો. આ તકનો લાભ લઈ અનવરશાએ પોતાની પાસેના ચપ્પુ વડે અકરમઅલી પર હુમલો કર્યા હતો. દરમિયાન અકરમઅલીની ભત્રીજી શબનમ દોડીને ઘરે ગઈ હતી તેણે પિતા અહેસાન અહેમદને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત અકરમઅલીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. આ ઘટના બાદ અનવરશા ચપ્પુ તુલસીવાડીના તળાવમાં ફેંકી દઈ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. પોલીસે અનવરશા અને મૃતક અકરમઅલીની પત્ની મુમતાઝની પૂછપરછ હાથ ધરી છે.
વારંવાર ટોકતો હોવાથી પતાવી દીધોઃ અનવસશા
આરોપી અનવરશા દિવાન (ઉં.વ.૪૦) પણ ત્રણ સંતાનનો પિતા છે. તેણે પોલીસને જણાવ્યું કે, મારે મુમતાઝ સાથે કોઈ સબંધ નથી. છતાં તેનો પતિ અકરમઅલી મારા પર ખોટો વહેમ રાખી વારંવાર ટોકતો હતો. ત્રણ દિવસ પહેલા પણ તેણે મને ખખડાવ્યો હતો. તેથી મેં કંટાળીને તેને પતાવી દીધો હતો.