સુરત, તા. ૫
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૩૯.૦ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન યથાવત રહેતાં લોકો ગરમીથી તોબા પોકારી ઊઠયા છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વલસાડ અને નવસારીમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન માર્ચ મહિનાના આરંભમાં તાપમાનનો પારો આટલો ઊંચે પહેલી વખત જતાં દિવસ અને રાતના તાપમાનમાં ભારે ૧૨થી ૧૫ ડિગ્રી સેલ્સિયસનો તફાવત જોવા મળી રહ્યો છે.
- પાંચ વર્ષમાં પહેલી વખત માર્ચમાં સખત તાપ
- સપ્તાહમાં પારો ૪૦ ડિગ્રીને વટાવી જવાનું અનુમાન
સોમવારની માફક જ આજે પણ વલસાડમાં તાપમાન સામાન્યથી સાત ડિગ્રી વધારે મહત્તમ ૩૯.૦ અને ન્યૂનતમ ૧૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સુરત શહેરમાં ૩૮.૩ અને ૧૯.૦ ડિગ્રી સેલ્સિયસની ગરમી યથાવત રહી હતી. આ ઉપરાંત નવસારીમાં પણ આજે દિવસનો પારો ૩૯.૦ ડિગ્રી રહેતાં સમગ્ર પંથકમાં લોકો પરસવે રેબઝેબ થઈ રહ્યા છે.
બીજી તરફ માર્ચના આરંભમાં મેની ગરમીના અહેસાસ વચ્ચે હવામાન વિભાગે સપ્તાહના અંત સુધીમાં તાપમાન ૪૦.૦ ડિગ્રીની આસપાસ પહોંચી જવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ખાસ કરીને સુરત સહિત તમામ વિસ્તારોમાં આજે હવામાં ભેજનું પ્રમાણ ૨૦થી ૨૫ ટકાની આસપાસ રહ્યું હતું. જ્યારે હવાનું દબાણ સુરતમાં ૧૦૧૦.૮ મિલિબાર જેટલું ઊંચું રહ્યું હતું અને પવન ઉત્તરનો પ્રતિ કલાક સાત કિ.મી.ની ઝડપનો રહ્યો હતો.
તાપમાનમાં ગરમી વધવાની સાથે મહત્ત્વની બાબત એ છે કે, છેલ્લા ચાર દિવસથી દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત નોંધાઈ રહ્યો છે. સુરત શહેરમાં પણ દિવસની સરખામણીમાં રાતનું તાપમાન ૧૯.૦ ડિગ્રી જેટલું નીચું રહેવાને કારણે લોકો એક અસમંજસભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
હાલના વાતાવરણમાં ભોજનમાં સંયમ જરૃરી
દક્ષિણ ગુજરાતમાં દિવસે ગરમી અને વધારા વિનાના રાતના તાપમાનને કારણે લોકોમાં બીમારીનું આવરણ વધવાની સ્થિતિ સર્જાવા પામી છે. દિવસની ગરમીના કારણે શરીરમાં પ્રવાહીની ઘટ સર્જાવાની સ્થિતિમાં ડિહાઈડ્રેશન સહિતની બીમારીને નોતરી શકે છે. શરીરમાં પાણી ઘટી જવા ઉપરાંત ચિડિયાપણું, સ્નાયુમાં દુઃખાવો, આળસ આવવા જેવી તકલીફોનો આરંભ થઈ જાય છે. સાથે જ શરીરમાં ટોક્સિનનું પ્રમાણ પણ વધી જાય છે. આ સ્થિતિમાં બ્લડ પ્રેશર અને સુગર લેવલમાં સ્ટ્રેસ બિલ્ડ-અપ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જેને કારણે ડાયાબિટીઝ, પ્રેશર અને બીમારી સામે ઝીંક ઝીલવામાં ઓછી ક્ષમતાવાળા નાજુક વ્યક્તિઓ વાઈરલ ઈન્ફેક્શનનો આસાનીથી શિકાર બની શકે છે. નિષ્ણાતોના મતે આ સંજોગોમાં દિવસ અને રાતના ખોરાક વચ્ચે અંતર રાખવા તેમજ આહારમાં તાજા શાકભાજી જ્યૂસ, સલાડ, છાશ વધારે માત્રામાં લેવા હિતાવહ છે તેમજ ખાસ કરીને મીટનો આહાર દિવસને ત્યજવા અને રાત્રિ દરમિયાન પણ સૂપ અને જ્યૂસ જેવું પ્રવાહી પૂરતી માત્રામાં લેવું હિતાવહ છે.