લો ફોર લેડીઝ - ડો. અમી યાજ્ઞિક
હિન્દુ કાયદાએ મહિલાને 'સ્ત્રીધન'નો અધિકાર આપ્યો છે. 'સ્ત્રીધન' એટલે મહિલાની પોતાની મિલકત, જેની ઉપર ફક્ત અને ફક્ત તે મહિલાનો જ અધિકાર હોય અને કોઈ પણ સંજોગોમાં તે મિલકત તેની પાસે જ રહે. આ મિલકત પર તેના પતિ, પિતા કે પુત્રનો હક્ક લાગે નહીં. ત્યારે સ્ત્રીધનનો હક આપતા કાયદા વિશે થોડું જાણીએ.
કોઈ પણ પરિસ્થિતિમાં સ્ત્રીધન પર મહિલાનો અધિકાર રહે છે. મહિલા વિધવા થાય, તેના છૂટાછેડા થાય કે તે એકલી રહેવાનું પસંદ કરે તોપણ સ્ત્રીધન તેની પાસે જ રહે. લગ્ન સમયે, લગ્ન પહેલાં અને લગ્ન બાદ કોઈ પણ મહિલાને જે રોકડ રકમ કે વસ્તુ આપવામાં આવી હોય એ તમામને એ મહિલાનું સ્ત્રીધન કહેવાય. આ સ્ત્રીધનને મહિલા પતિના ઘરમાં મૂકી રાખે કે પોતે વાપરે, તેના ઉપર તેના પતિ કે તેનાં સગાંનો કોઈ જ હક નથી હોતો.
ધારો કે મહિલા પોતાને મળેલ કોઈ પણ મિલકત, પૈસા, દાગીના કે વસ્તુઓ પતિ કે તેનાં સગાંને સાચવવા આપે, તો તેનો પતિ કે તેનાં સગાં આ તમામ વસ્તુઓના ટ્રસ્ટી એટલે કે રખેવાળ ગણાય. તેઓ આમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકે નહીં અને મહિલા જ્યારે પણ તે મિલકત, પૈસા, દાગીના કે વસ્તુઓ પાછી માંગે ત્યારે પતિ કે તેનાં સગાં જેને સાચવવા આપેલ હોય તેણે મહિલાને પરત આપવી પડે. જો પતિ કે તેનાં સગાં મહિલાને આ વસ્તુઓ પરત આપવા ઇનકાર કરે તો તેઓ ગુનાને પાત્ર બને છે. ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૦૫ અને ૪૦૬ મુજબ સજા મળે છે.
સુપ્રીમ કોર્ટે એક કેસમાં એટલે કે પ્રતિભારાણી વિરુદ્ધ સૂરજકુમારના કેસમાં ઠરાવ્યું છે કે, મહિલાના ધનનો કબજો ટ્રસ્ટી તરીકે જે વ્યક્તિ ધરાવે છે તેણે સ્ત્રી માગણી કરે ત્યારે તેને તે સોંપી દેવું જોઈએ. જો તેઓ સ્ત્રીધન પાછું આપવાનો ઇનકાર કરે તો તેઓ ગુનાહિત વિશ્વાસઘાત માટે જવાબદાર બને છે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
હિન્દુ વારસા ધારો જે ૧૯૫૫થી અમલમાં આવ્યો ત્યારથી હિન્દુ મહિલા આ ધારા મુજબ મિલકતની સંપૂર્ણ માલિક બને છે. સ્ત્રીધનનો મુદ્દો ખાસ કરીને જ્યારે લગ્ન વિચ્છેદ થાય અથવા લગ્ન છૂટાછેડા ભણી જઈ રહ્યાં હોય અથવા મહિલાને આર્થિક તકલીફ થતી હોય છે ત્યારે યાદ આવે છે કે તેને પોતાને અમુક વસ્તુઓ મળેલ છે, પણ જ્યારે તે પરત મેળવવા માગણી કરે છે ત્યારે ઘણી વાર તેને અન્યાયનો સામનો કરવો પડે છે અને પોતાનું સ્ત્રીધન મેળવવા લડવું પડે છે. આવા સમયે ઘણી વાર મહિલાને કાયદાનો સહારો લેવો પડે છે.ળદરેક મહિલાએ ખાસ જાણવા જેવું એ છે કે લગ્ન સમયે મળેલ ભેટ સોગાદોની એક યાદી બનાવી લેવી જોઈએ અને દાગીના પૈસા બેંકમાં પોતાને નામે મૂકવા જોઈએ, જેથી તેનું એ ધન સુરક્ષિત રહી શકે અને તેનો ઉપયોગ પોતે પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે. મહિલાને પોતાનું સ્ત્રીધન પોતાની પાસે હોવાથી એક આર્થિક સુરક્ષાની લાગણી ચોક્કસ થાય છે.
(લેખિકા જાણીતાં ધારાશાસ્ત્રી છે.)
ayajnik@hotmail.com