દાંતીવાડા,તા.૮
છેલ્લા કેટલાક સમયથી દાંતીવાડા તાલુકાનું સેન્ટર અને વેપારીમથક દાંતીવાડા કોલોની બજારમાં જાણે કાયદો વ્યવસ્થા ના હોય તેમ છાશવારે વેપારીઓ જોડે ઝઘડા કરીને કેટલાક માથાભારે ઈસમો પોતાનું વર્ચસ્વ કોલોની બજારમાં જમાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે પોલીસ બિલકુલ નિદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહી છે. આ બાબતે આજ રોજ વેપારીઓ દ્વારા અડધો દિવસ બજાર સજ્જડ બંધ રાખી રોષનો પડઘો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બજારબંધ રહેતા શહેરમાં ચકચાર જાગી હતી. સોમવારે મામલતદારને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવશે.
- વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા બંધ પળાયો- પોલીસ નિષ્ક્રિય : સોમવારે મામલતદારને આવેદનપત્ર અપાશે
ગત શુક્રવારના રોજ એક મહેન્દ્રસિંગ વાઘેલા રહે. રામનગરવાળા એક વેપારી જોશી પોરસભાઈ ભરતભાઈ જોડે રસ્તામાં ઊભા રહેવાની બાબતે ઝઘડો કરી તેની પાસે રહેલા રૂ. ૭૦૦ ઝૂંટવી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશને નોંધાઈ છે. જો કે છાશવારે હુમલાઓથી કંટાળી ગયેલા વેપારીઓએ શનિવારના રોજ એક થઈ પોતાની તમામ દુકાનો અડધા દિવસ માટે સજ્જડ બંધ રાખી એક મીટિંગનું આયોજન હનુમાનજીના મંદિરે કર્યું હતું. જેમાં વેપારીઓ ઉપર થતા હુમલાઓ અંગે ચિંતા કરીને દાંતીવાડા કોલોનીમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગતા પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે કેટલાક વેપારીઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને પીએસઆઈ રાવળની સાથે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા સ્ટાફના માણસોને બદલવાની રજૂઆત કરવા જણાવ્યું હતું. ત્યારે તમામ વેપારીઓએ આ અંગે એક આવેદનપત્ર મામલતદાર તેમજ પોલીસને સોમવારે આપવાનું નક્કી કર્યું છે અને વેપારીઓએ એક ૩૪ જણની કમિટી બનાવી છે. જેમાં વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ જો કોઈ વેપારી ઉપર હુમલો થાય તો તમામ કોલોની બજાર બંધ રાખીને હુમલો કરનાર વ્યક્તિ સામે સખતાઈથી પગલા લેવા આ કમિટી પગલા લેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
પોલીસ સામે વેપારીઓમાં ભભૂક્તો રોષ
દાંતીવાડા કોલોની બજારના વેપારીઓએ બજારમાં કાયદો વ્યવસ્થા પડી ભાગવાથી તેમને પોલીસ સામે બળાપો કાઢીને પોલીસને હકારાત્મક કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી છે.