સુરત, તા. ૧૧
આ વર્ષે ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઈ રહી છે. તેની અસર ગુજરાતમાં અનુભવાઈ રહી છે.
આ વર્ષે ઠંડીના ચમકારા જોઈને સુપ્રીમ કોર્ટે તેની નોંધ લઈને તમામ રાજ્ય સરકારોને ઠંડીના કારણે કોઈનું મોત ન થાય તેની તકેદારી રાખવા નિર્દેશ આપ્યો હતો. ઉત્તર ભારતમાં ઠંડીના કારણે મોત થયું હોયએવું તો ધ્યાનમાં નથી આવ્યું પરંતુ ગુજરાતમાં જ્યાં ઉત્તર ભારતની તુલનામાં ખૂબ જ ઓછી ઠંડી છે ત્યાં એક યુવાનનું ઠંડીના કારણે મોત નીપજ્યું હતું.
- બે દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે ઠંડીના કારણે કોઈનું મોત ન થાય તેનો નિર્દેશ તમામ રાજ્યોને આપ્યો હતો
ચોકબજારના સબ-ઇન્સ્પેક્ટર એ.એ. શેખે માહિતી આપતાં જણાવ્યું હતું કે મૂળ ઓરીસાનો અજય જગમની બહેરા (ઉ.વ.૨૫) વર્ષોથી સુરતમાં ચોકબજાર પંડોળમાં આવેલ રહેમતનગરમાં રહે છે. પરિવારમાં તેની પત્ની ઉપરાંત બે સંતાનો છે. તે પંડોળ વિસ્તારના પાવરલૂમ્સના કારખાનામાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે. સોમવારની રાત્રે સૂઈ ગયા બાદ સવારે તે ન ઊઠતાં તેની પત્નીએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઊઠયો ન હતો. પડોશીઓને બોલાવીને તપાસ કરતા તેનું મોત થયું હોય એવું જણાતું હતું. તેમ છતાં ૧૦૮ની મદદથી તેને તત્કાલ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે પણ ઠંડીના કારણે તેનું મોત થયું હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો છતાં તેની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ચોકબજાર પોલીસે પણ અજયનું મોત ઠંડીના કારણે થયું હોવાની નોંધ સાથે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતાં આ બાબતની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો હતો કે ઠંડીના કારણે કોઈનું મોત ન થાય તેનું ધ્યાન રાખે. ઉત્તર ભારતમાં તો ઠંડીના કારણે મોત ન થયું પરંતુ ગત રોજ સુરતના ચોકબજારમાં ઠંડીથી ઠૂંઠવાઈ જવાથી એક ઇસમનું મોત નીપજ્યું હતું. આ બાબતે કલેક્ટર કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના સુધી ઠંડીના કારણે કોઈનું મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો નથી. જો સત્તાવાર માહિતી પોલીસ કે આરોગ્ય વિભાગ તરફથી મળશે તો આ બાબતે રાજ્ય સરકારના સંબંધિત વિભાગને રિપોર્ટ કરવામાં આવશે.