હિંમતનગર, તા.૧૨
અસહ્ય મોંઘવારીની પરિસ્થિતીમાં ગામડાંઓમાં વિજળીનું કામ કરતાં વિજકર્મીઓનો માસિક પગાર માત્ર ૬૫૦થી ૯૦૦ સુધી છે. કદાચ આ રકમમાંથી માત્ર દૂધનો ખર્ચો પણ ન નિકળે. તેથી ૧૩ વર્ષથી ન્યાય માટે લડત લડતાં વિજળીગર કર્મચારી મહામંડળે અમદાવાદ સ્થિત ઔદ્યોગિક ન્યાયપંચ સમક્ષ વર્ષ ૨૦૧૧માં રીટ કરતાં ન્યાયાધિશ એસ.એસ.પંચાલે તા.૧-૧૨-૨૦૦૦થી તેમને નોકરીમાં વર્ગ-૪માં ગણી કાયમી ગણવાનો આદેશ કરતાં રાજ્યભરમાં લાખો કર્મીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
- વીજળીઘર કર્મચારીઓને ફક્ત ૬૫૦-૯૦૦ વેતન મળતુ હતું
- ઓૈદ્યોગિક ન્યાયપંચના આદેશથી રાજ્યભરમાં લાખો કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ
૧૩ વર્ષ અગાઉ ૧૯૯૮માં જીઈબીએ ગ્રામ્ય વિજળીગર કર્મીઓના પગાર સુધારા માટે બેઠક યોજી હતી પરંતુ કર્મચારીઓના હિતમાં સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવાતા કર્મીઓની હાલત અંત્યત કફોડી થઈ ગઈ હતી, સમગ્ર રાજ્યમાંથી કર્મચારીઓએ જીઈબી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. પરિવારોની ચિંતા કર્યા વગર મોત સાથે ખેલ ખેલનારા આ ગરીબ વિજળીગર કર્મચારીઓને માસિક રૂ.૬૫૦થી રૂ.૯૦૦ના પગારમાં શું પોસાય? અત્યારે આ રકમમાં દૂધનો ખર્ચો અથવા બાળકોની ટયુશન ફી માંડ સેટલ થાય તેમ છે.
મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંત્રી બાબુભાઈ નાયી, સહમંત્રી પ્રવિણભાઈએ જણાવ્યુ હતુ કે, છેક ૧૯૯૮થી જીઈબીએ પગાર સુધારા મામલે બેઠક યોજીને ઘટતું કરવાની હૈયાધારણ આપી હતી.કર્મચારીઓના હિતમાં કોઈપણ નિર્ણય લેવાતા વર્ષ ૨૦૧૧માં ન્યાય માટે લડત લડતાં વિજળીગર કર્મચારી મહામંડળે અમદાવાદ સ્થિત ઔદ્યોગિક ન્યાયપંચ સમક્ષ વર્ષ ૨૦૧૧માં રીટ કરતાં ન્યાયાધિશ એસ.એસ.પંચાલે તા.૧-૧૨-૨૦૦૦થી તેમને નોકરીમાં વર્ગ-૪માં ગણી કાયમી ગણવાનો આદેશ કર્યો છે, તેમજ પગારધોરણ તથા અન્ય મળવાપાત્ર લાભો દિન ૩૦માં ચુકવી આપવા આદેશ કરતાં રાજ્યભરમાં લાખો વીજળીઘર કર્મીઓમાં આનંદની લાગણી ફેલાતા આજરોજ ઈડર તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડીયાવીર ખાતે મંડળનું મહાઅધિવેશન મળ્યુ હતુ જેમાં ગાદીપતિ પીઠાધીશ્વર શાંતિગિરીજી મહારાજ, મહાકાલી ઉપાસક ભગતજી - કાંતીજી દરબાર(હાજીપુર, હિંમતનગર), મંડળના હોદેદારો, રાજ્યભરમાંથી ઉમટી પડેલા કર્મચારીઓ ઉપસ્થિત રહી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ઉચિત કરે તેવી આશા વ્યક્ત કરી હતી.