ભરૂચ,તા.૧૬
ભરૂચ નગરની જનતા જેની આતુરતાથી રાહ જોઇ રહી હતી તેવી સીટી બસ સેવાનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવશે. ભરૂચ નગરમાં વર્ષો બાદ પુનઃ એકવાર સીટી બસ સેવા શરૂ થતા મુસાફરો અને વિધાર્થીઓ માટે આ સેવા આશિર્વાદરૂપ સાબિત થશે. ભરૂચ નગરમાં પ્રાથમિક તબક્કે ત્રણ જેટલી બસો શરૂ કરવામાં આવશે અને થોડા દિવસો બાદ અન્ય ત્રણ બસો પણ શરૂ કરી દેવામાં આવશે.
· ભરૂચ નગરની જનતા વર્ષાથી જેની રાહ જોતી હતી તેની આતુરતાનો અંત
· પ્રાથમિક તબક્કે ત્રણ બસોને છ રૂટો ઉપર દોડાવાશે
ભરૂચ નગરમાં માળખાકીય સુવિધાઓ માટે નગરજનો લાંબા સમયથી રાહ જોઇ રહયા હતા. આ માળખાકીય સુવિધાઓમાં સીટી બસ સેવા મોખરે હતી. ભરૂચ નગરમાં સીટી બસ સેવાનો પ્રારંભ કરાય અને મુસાફરોએ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ભરૂચના સત્તાધિશોએ સીટી બસ સેવાનો પ્રારંભ કરવા માટેના પ્રયાસો પ્રબળ બનાવ્યા હતા. અને જેના ભાગરૂપે સીટી બસ સેવા શરૂ કરવાની પરવાનગી મળ્યા બાદ આજરોજ આ બસ સેવાને વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવશે. અમદાવાદ ખાતે દોડતી સીટી બસોનો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે જ કંપની બીઆરટીએસ (ચાટર્ડ સ્પીડ પ્રાઈવેટ લીમીટેડ સંચાલીત)ને ભરૂચનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
આજરોજ પ્રાથમિક તબક્કે ત્રણ સીટી બસોને વિધિવત રીતે લીલી ઝંડી આપવામાં આવશે. ત્યાર બાદ અન્ય ત્રણ બસો શરૂ કરવાનું પણ આયોજન ઘડી નાખવામાં આવ્યુ છે. આ ત્રણ સીટી બસો હાલમાં ૬ જેટલા અલગ અલગ રૂટો ઉપર દોડશે. સીટી બસના ઉદઘાટન પ્રસંગે જિલ્લા સમાહર્તા રૂપવંત સિંઘ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર સેવાસદનના મુખ્ય અધિકારી સંજય સોની, નગર સેવાસદનના પ્રમુખ સનત રાણા સહિતના આગેવાનો તેમજ આંમત્રિતો ઉપસ્થિત રહેશે.
સીટી બસ સેવાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે આ તબક્કે ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યુ હતુ કે ભરૂચ નગરના લોકોની પ્રાથમિક જરૂરિયાત સીટી બસ સેવા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એક યા બીજા કારણોસર આ સેવા વિલંબમાં પડી રહી હતી. આ સુવિધા શરૂ થવાથી ખાસ કરીને વિધાર્થીઓ, વૃધ્ધો, તેમજ મહિલા વર્ગને સગવડતા રહેશે. વળી પેટ્રોલ ડિઝલના ભાવ વધતા રીક્ષાના ભાડાઓ પણ વધી રહયા હતા જેના કારણે સામાન્ય વર્ગના લોકોની કમર તુટી જતી હતી. જેઓને પણ સીટી બસ સેવા શરૂ થતા ભાડામાં રાહત જણાશે. આ સીટી બસ સાચા અર્થમાં ભરૂચ નગરની જનતા માટે નજરાણુ બની રહેશે.
ટૂંક સમયમાં સિટી બસ માટે એસ.ટી. સ્ટેન્ડ પણ ઉભા કરાશે
ભરૂચ : ભરૂચ નગરમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે જેનાથી ભરૂચ નગરની જનતામાં ભારે ખુશી જોવા મળી રહી છે. નગરના લોકોએ હવે મોંઘીદાટ રીક્ષાઓમાં મુસાફરી નહીં કરવી પડે તથા ક્યારેક ક્યારેક રીક્ષાઓની હડતાલ તેમજ દાદાગીરીનો જે સામનો કરવો પડી રહયો હતો તે પણ નહીં કરવો પડે. સીટી બસ સેવા શરૂ થતા આ અંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં ભરૂચ નગરમાં સીટી બસ માટે સીટી બ સ્ટેન્ડ પણ ઉભા કરવામાં આવશે જેથી નગરજનોની સગવડતામાં વધારો થઇ શકે.
ભરૂચમાં ૩ બસો, અને ૬ રૂટ
ભરૂચ : ભરૂચ નગરમાં દોડનાર સીટી બસો હાલમાં છ રૂટો ઉપર ફરશે અને ત્યાર બાદ થોડા જ સમયમાં અન્ય રૂટો સાથે ગામડાઓને પણ કવર કરવામાં આવશે. હાલમાં સીટી બસો જે છ રૂટ ઉપર દોડનાર છે તે નીચે મુજબ છે.
રૂટ નં ૧ : રેલ્વે સ્ટેશન થી રેલ્વે સ્ટેશન વાયા કસક સર્કલ, કોલેજ રોડ, એ.બી.સી.ચોકડી, મંગલ તીર્થ, શ્રવણ ચોકડી, શક્તિનાથ, પાંચબત્તી, એસ.ટી.ડેપો, ટાવર,
રૂટ નં ૨ : રેલ્વે સ્ટેશન થી કતોપોર બજાર વાયા એસ.ટી.ડેપો, પાંચબત્તી, ફાટા તલાવ, કતોપોર બજાર
રૂટ નં ૩ : રેલ્વે સ્ટેશન થી ઝાડેશ્વર વાયા કસક સર્કલ, અભિલાષા ટાવર, જી.ઇ.બી., તુલસીધામ, ઝાડેશ્વર બસ સ્ટેન્ડ, ઝાડેશ્વર ચોકડી
રૂટ નં ૪ : રેલ્વે સ્ટેશન થી શેરપુરા વાયા એસ.ટી.ડેપો, પાંચબત્તી, શક્તિનાથ, એચ.ડી.એફ.સી. બેંક, શ્રવણ ચોકડી, ઉમરાજ, શેરપુરા
રૂટ નં ૫ : રેલ્વે સ્ટેશન થી ઝાડેશ્વર વાયા કસક સર્કલ, અભિલાષા ટાવર, જી.ઇ.બી., બોરભાઠા બેટ, પંચાયત ઓફિસ, પટેલ પાર્ક, ઝાડેશ્વર
રૂટ નં ૬ : રેલ્વે સ્ટેશન થી રેલ્વે સ્ટેશન વાયા એસ.ટી.ડેપો, પાંચબત્તી, જંબુસર ચોકડી, શેરપુરા, ઉમરાજ, એ.બી.જી કોલોની, શ્રવણ ચોકડી, ગણેશ કુંજ, મંગલતીર્થ, નવે આર.ટી.ઓ કચેરી, કલેક્ટર ઓફિસ, રેલ્વે સ્ટેશન