ભરૂચ,તા.૧૭
ભરૂચ નગરની જનતા જેની આતુરતાથી રાહ જોઇ રહી હતી તેવી સીટી બસ સેવાને આજરોજ વિધિવત રીતે લીલી ઝંડી બતાવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ નગરમાં વર્ષો બાદ પુનઃ એકવાર સીટી બસ સેવા શરૂ થતા મુસાફરો તેમજ વિધાર્થીઓ માટે આ સેવા આશિર્વાદરૂપ સાબિત થશે. આ બસ સેવાના પ્રારંભ ટાણે નગર સેવાસદનના પ્રમુખ તથા ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે નગરજનોને સીટી બસ સેવા શરૂ કરવાનું જે વચન આપવામાં આવ્યુ હતુ તે પાળી બતાવ્યુ છે.
· પ્રાથમિક ૩ બસો શરૂ કરાયા બાદ વધુ ૩ બસો શરૂ કરાશે
ભરૂચ નગરના લોકો સીટી બસ સેવા શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઇ રહયા હતા. નગરજનોની આ આતુરતાનો આજરોજ અંત આવ્યો હતો. અને ભરૂચ નગરમાં આશરે ૧૭ વર્ષ બાદ સીટી બસો દોડતી થઇ હતી. ભરૂચ નગરમાં સીટી બસ સેવાનો પ્રારંભ કરાય અને મુસાફરોએ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ભરૂચના સત્તાધિશોએ સીટી બસ સેવાનો પ્રારંભ કરવા માટેના પ્રયાસો પ્રબળ બનાવ્યા હતા. ઓક્ટો - ૨૦૦૯મા આ અંગેનો સૌપ્રથમ ઠરાવ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસો બાદ રાજ્ય સરકારમાંથી તા. ૧૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વિધિવત રીતે પરવાનગી આવયા બાદ આજરોજ નગરમાં સીટી બસ સેવાના વિધિવત રૂટો શરૂ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે દોડતી સીટી બસોનો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે જ કંપની બી.આર.ટી.એસ.ને ભરૂચનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ભરૂચ ખાતે સીટી બસ સેવાનું સંચાલન ચાટરૂડ સ્પીડ પ્રા.લી. કંપની દ્વારા કરવામાં આવશે. આજરોજ પ્રાથમિક તબક્કે ત્રણ સીટી બસોને વિધિવત રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય ત્રણ બસો શરૂ કરવાનું પણ આયોજન ઘડી નાખવામાં આવ્યુ છે. આ ત્રણ સીટી બસો હાલમાં ૬ જેટલા અલગ અલગ રૂટો ઉપર દોડશે. સીટી બસના ઉદઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર સેવાસદનના મુખ્ય અધિકારી સંજય સોની, નગર સેવાસદનના પ્રમુખ સનત રાણા, માજી મંત્રી બિપીન શાહ,જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર ગોહિલ, જિલ્લા ભાજપા પ્રમુખ, નગર સેવાસદનના વિરોધ પક્ષના નેતા સલીમ અમદાવાદી સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા. ભરૂચ નગરમાં હાલમાં ૬ જેટલા રૂટો ઉપર સીટી બસ દોડશે. અને અન્ય્ ત્રણ બસોના આવયા બાદ બાકીના રૂટો ઉપર પણ બસો દોડાવાશે જેમાં આસપાસના ગામડાઓને પણ આવરી લેવામાં આવશે. આ સીટી બસો ખાસ કરીને વિધાર્થીઓને આશિર્વાદરૂપ નીવડશે. સીટી બસમાં વધારેમાં વધારે ભાડુ ૯ રૂપિયા જેટલુ છે જેથી સમાન્ય વર્ગના માણસો કે જેઓએ રીક્ષામાં વધુ ભાડુ ચુકવવુ પડતુ હતુ તેઓને રાહત થઇ જશે.
ભરૂચમાં સેકન્ડ હેન્ડ બસો દોડશે
ભરૂચ : ભરૂચ નગરમાં આજરોજ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રાથમિક તબક્કે ત્રણ બસો ભરૂચ નગરના રસ્તાઓ ઉપર દોડતી કરવામાં આવી છે. આ કાન્ટ્રાક્ટ અમદાવાદની કંપનીને આપવામાં આવ્યો છે જો કે ભરૂચમાં આવેલ સીટી બસો સેકન્ડ હેન્ડ હોવાનું જણાયુ હતુ. જુની બસો ઉપર રંગરોગાણ કરી તેને ચકચકીત કરવામાં આવી હતી. આ બસોને લીલી ઝંડી અપાયા બાદ સૌપ્રથમ સોનેરી મહેલ ખાતે લઇ જવામાં આવી હતી જ્યા એક બાગનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આ ત્રણ બસો પૈકી એક બસમાં તો બસના ચાલકને ગીયર પાડતા પણ તકલીફ અનુભવાતી હોવાનું જાણવા મળ્યુ છે. વળી આ બસોના ડ્રાઇવર ભરૂચના નહીં હોવાથી તેઓ ભરૂચના માર્ગોથી પણ વાકેફ નથી જેથી ડ્રાઇવરોને પહેલા તો તમામ રૂટો પરના માર્ગોથી અવગત કરાવવા પડશે તેમ લાગી રહયુ છે.