સુરત, તા. ૨૨
ઓરિસ્સાથી સુરત ગાંજો મંગાવ્યા બાદ અહીંથી મહેસાણા લઇ વેચવાનો ગોરખધંધો કરતા યુવકને ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ સાથે ઝડપી પાડી કરેલી તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જાન મહંમદ અઠવાડિયામાં બે વખત સુરત આવીને ગાંજો લઇ જતો હતો. જાન મહંમદને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે ૨૭મી તારીખ સુધીના રિમાન્ડ મેળવી કરેલી તપાસમાં ગાંજાની ખેપ મારતાં યુવકોને આપવા માટે તેણે સાતેક પિસ્તલ ખરીદી રાખ્યાનું બહાર આવ્યાનું હોવાનું જાણવા મળે છે. આ હથિયાર તેણે અમદાવાદના એક સાઉથ ઇન્ડિયન યુવકના માધ્યમથી ખરીદી હોવાની કબૂલાત કરતાં પોલીસ જાન મહંમદને લઇ તપાસ માટે મહેસાણા અને અમદાવાદ રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર નીરવસિંહ ગોહિલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે બાતમીના આધારે ઉનાપાણી રોડ ઉપર વોચ ગોઠવી ભાથીજી મહારાજના મંદિર પાસેથી એ યુવકને ઝડપી લેવાયો હતો. મહેસાણા જિલ્લાના વિસનગરમાં દેરિયા તલાવ વિસ્તારની મસ્તાનનગર વસાહતમાં રહેતો જાન મહંમદ લિયાકતઅલી ફકીર નામના આ યુવકની અંગઝડતી લેવામાં આવતાં તેની પાસેથી પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતાં.
પોલીસે જાન મહંમદી કરેલી તપાસમાં તે ગાંજાનો વેપાર કરતો હોવાનું બહાર આવ્યું હતું, તે ઓરિસ્સાના ગંજામ વિસ્તારમાંથી સુરત ગાંજો મંગાવ્યા બાગ મહેસાણા, વિસનગર લઇ જઇને વેચે છે. પિસ્તોલ રાખવા અંગે જાન મહંમદે એવી કેફિયત વ્યક્ત કરી હતી કે તે આ પિસ્તોલ ગાંજોના કેરિયર્સને આપવા માટે લાવ્યો હતો. ગંજામના જંગલોમાંથી ગાંજો લાવનારા કેરિયર્સને ત્યાં હુમલો અને લૂંટફાટનો ડર રહેતો હોય છે. આ હુમલામાં સ્વરક્ષણ માટે તેણે હથિયાર મંગાવ્યું હતું. કેરિયર્સને આપવા માટે આ હથિયાર લવાયું હતું.
પોલીસે આજે જાન મહંમદને કોર્ટમાં રજૂ કરી ૨૭મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જાન મહંમદે પોલીસની તપાસમાં એવી કબૂલાત કરી હતી કે તેણે આ હથિયાર અમદાવાદમાં રહેતાં તેના એક પરિચિત એવા સાઉથ ઇન્ડિયન યુવક હસ્તક ખરીદ્યું હતું. પિસ્તલ ૧૫ હજારમાં ખરીદી હોવાની કેફિયત વ્યક્ત કરનાર જાન મહંમદે તેણે આવા સાતેક હથિયાર ખરીદ્યાની વાત કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
પોલીસની તપાસમાં તેણે એવી કેફિયત વ્યક્ત કરી હતી કે તે અઠવાડિયામાં બે વખત સુરત આવી ગાંજો ખરીદી જતો. આઠ દસ કિલોની એક ખેપ તે મારતો હતો. ગાંજામમાં તેને કિલોએ ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા નફો થતો હતો. કતારગામના ઉત્કલ નગર તથા વરાછાના અશોક નગરમાંથી તે ગાંજો ખરીદી જતો હતો. પોતાના માટે ગાંજો લાવનારા ઉડિયા યુવકોને આપવા માટે તેણે સાતેક હથિયાર ખરીદ્યાની જાન મહંમદે કરેલી કબૂલાતના આધારે પોલીસ તેને લઇ મહેસાણા અને પછી અમદાવાદ ખાતે તપાસ માટે નીકળી ગયાનું જાણવા મળે છે.