વલસાડ, તા. ૨૭
વિકાસોન્મુખ રાજ્ય સરકારે સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે સામાજિક સેવાઓને પ્રાથમિકતા આપી છે, જેનાથી રાજ્યમાં સમાજનો દરેક વર્ગ રાજ્ય સરકારની વિકાસયાત્રામાં ઉન્નત મસ્તકે સામેલ થયો છે, એમ રાજ્ય કક્ષાના કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, આયોજન અને વાહનવ્યવહાર મંત્રી રણજિતભાઇ ગિલીટવાળાએ ૬૩મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વલસાડ ખાતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું.
- વલસાડ ખાતે ૬૩મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી
- મંત્રી ગિલીટવાલાના હસ્તે ધ્વજવંદન બાદ પરેડનું નિરીક્ષણ કરાયું : રમતવીરો તથા સિદ્ધવંતોનું સન્માન કરાયું
આર.પી.એફ. ગ્રાઉન્ડ, વલસાડ ખાતે ૬૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગો લહેરાવી, પરેડનું નિરીક્ષણ કરી તેમજ માર્ચ પાસ્ટની સલામી ઝીલી મંત્રીએ સ્વામી વિવેકાનંદજીની વિચારધારાથી પ્રભાવિત થઇ તેમનું જીવન ઘડતર કરે એવા આશયથી રાજ્ય સરકારે ૨૦૧૨ના વર્ષને યુવાશક્તિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યુ હતુ. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આરંભવામાં આવેલા મહાયજ્ઞા સમા સદ્ભાવના મિશનના અનુસંધાનમાં જણાવ્યું હતું કે, સદ્ભાવના ગુજરાતના સંસ્કારોમાં છે. અહીં સદ્ભાવના થકી પ્રાંતવાદ, જાતિવાદ અને કોમવાદને દેશવટો આપવામાં આવ્યો છે. સદ્ભાવના થકી ગુજરાત વિકાસના નવા પરિણામોને હાંસલ કરશે.
કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓને સુતરની આંટી પહેરાવી તેમજ શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ૬૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાના વિકાસ કામો માટેનો રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર એલ.સી.પટેલને અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે પરેડ, ટેબ્લો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલી કૃતિઓને ઇનામ આપી નવાજવામાં આવી હતી તથા જિલ્લામાં ખેલ મહાકુંભના વિજેતાઓ, ૧૦૮ના કર્મચારીને શ્રેષ્ઠ સેવા બદલ, જિલ્લાના રાજ્યસ્તરે શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન મેળવનાર શિક્ષકો, રૂ.૮૦ લાખની જવેલરી પરત મેળવી આપનાર આર.પી.એફ.ના જવાન તથા જિલ્લાના બે ડોકટર અને એક આર.એફ.ઓ.ને પણ સન્માનિત કર્યાં હતાં. અંતમાં મંત્રી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે આઠ શાળાના ૫૦૦ ઉપરાંત બાળકોએ યોગ્ય નિદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં પારડીના ધારાસભ્ય ઉષાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મીનાબેન ચૌધરી, ધારાસભ્ય દોલતભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકોરભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.ભારતી, જિલ્લા પોલીસ અધિક્ષક ડી.બી.વાઘેલા, અધિક નિવાસી કલેકટર પી.બી.બ્રહ્મભટ્ટ અને વરિષ્ઠ અધિકારી ગણ, સ્થાનિક પદાધિકારીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતાં.