માંડલ,વિરમગામ, તા. ૨૯
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રામપુરા ખાતે રવિવારના રોજ ડી.જી વિજિલન્સ સ્કોડ ટીમે ગાંધીનગરથી આવેલા ઓફિસરોએ દરોડા પાડીને ૧૫ કિ.ગ્રા.ના ૩૦૦ ડબ્બા નકલી ઘી અને ૫૦૦ ગ્રામના નાના ટીન ૧૭૪૦ ડબ્બા પકડાયા. ૩૦૦ ડબ્બા એટલે ૪૫૦૦ કિલો ગ્રામ નકલી ચોખ્ખુ ઘી અને ૧૭૪૦-૫૦૦ ગ્રામના ડબ્બા એટલે ૮૭૦ કિલો નકલી ઘી ઝડપી જથ્થો કબજે લીધો હતો અને ફેકટરીમાંથી બે વ્યક્તિની અટકાયત કરી હતી.
- ગાંધીનગરથી આવેલા ઓફિસરોએ દરોડા પાડીને ૩૦૦ ડબ્બા નકલી ઘી અને ૫૦૦ ગ્રામના નાના ટીન ૧૭૪૦ કબજે લીધા
આજ રોજ દેત્રોજ તાલુકાના રામપુરા ખાતે ડી.વિજિલન્સ સ્કવોડવાળાએ રામપુરાથી અશોકનગર જવાના રસ્તા પર વાડામાં આવેલી ફેક્ટરી ઉપર છાપો મારીને નકલી ઘીની ફેક્ટરી ઝડપી પાડી હતી. રામપુરા ગામના વતની નટવરલાલ એલ. ભટ્ટ અને તેમના પુત્ર શૈલેષ એન. ભટ્ટ જે દરોડા પડયો તે દરમ્યાન ત્યાં હાજર ન હતો. તે ઉપરાંત ફેકટરી ખાતેથી શૈલેષ વખતસિંહ ચૌહાણ (રહે. પાલુંદ્રા તા. દહેગામ) તેમજ બીજો જશવંત ગણપત સોલંકી (રહે. માણાવત તા. કપડવંજ, જિ. ખેડા)ના જેઓ આ નકલી ઘી બનાવીને કાળો કારોબાર ચલાવતા હતા.
ડી. વિજિલન્સ સ્કવોડના હે.કો. રાજેન્દ્રકુમાર હીરાલાલની ફરિયાદના આધારે મળેલ માહિતી મુજબ આ ફેક્ટરીમાં ફેક્ટરીના માલિકો નકલી ઘી અને સોયાબીન અને અન્ય રંગ જેવા કેમિકલ્સની ભેળસેળ કરીને ચોખ્ખુ ઘી બનાવીને માર્કેટમાં મુકીને હજારો લોકો સાથે છેતરપિંડી કરનારાના આ કાળા કારોબારના માફિયાઓ બજારમાં આ ચોખ્ખું ઘી જુદા જુદા માર્કાથી જુદા જુદા વજન ના ટીનમાં ભરીને બજારમાં મુકતા હતા. જે માર્કા માં વસંતશ્રી, ગૌધારા, સોપાન, આસ્થા, ગીરનારી ઘી, ગોપી, સેવક, સુમતી આવા જુદા જુદા લેબલથી બજારમાં આ બનાવટી ચોખ્ખું ઘી મુકનારના દરેક લેબલ લગભગ આધ્યાત્મિક નામના હીસાબે લોકો આ ઘી વાપરવા તરફ આકર્ષાય એવા હેતુથી આ લેબલ લગાવતા હતા. ડી. વિજિલન્સ સ્કવોડમાંથી ગાંધીનગર પો.સ.ઈ. એ. જે. પટેલના જણાવ્યા અનુસાર આ ડાલડા ઘી સોયાબીનને મોટી ટેન્કમાં મિક્સ કરીને ચોખ્ખુ ઘી બનાવીને પાઈપ વડે આ માફિયાઓ ટીન ભરતા હશે. અમે આજે આ ટેન્કમાંથી નવા ટીન મંગાવીને બધુ જ નકલી ઘી કબજે લીધું છે. આશરે ૧૫ કિલોગ્રામના ૩૦૦ ડબ્બા જેટલું એટલે કે આશરે ૪૫૦૦ કિલો નકલી ઘી ઝડપાયું હતું અને ૫૦૦ ગ્રામના ૧૭૪૦ જેટલા નકલી ઘી ભરેલા ટીન મળ્યા હતા. આ ઘી બનાવનાર માલિકને આ ડબ્બો આશરે રૂ. ૨૦૦૦માં પડતો હશે. જ્યારે ઘીનાં પેકિંગ પર તેની કિંમત રૂ. ૪૫૦૦ લખેલી જણાઈ હતી. જ્યારે ૫૦૦ ગ્રામના ટીનની કિંમત રૂ. ૧૮૦ લખેલી જણાઈ હતી. આ નકલી ઘીની ફેક્ટરીમાં પડેલ દરોડામાં ડી વિજિલન્સ સ્કવોર્ડમાંથી પો.સ.ઈ. એ. જે. પટેલ હે.કો. યોગેન્દ્રભાઈ રાજપુત હે.કો. અનિલભાઈ, દલપતભાઈ, રામદેવભાઈ એલ. રાનિયા અને રાજેન્દ્રકુમાર તથા અન્ય સ્ટાફ જોડાયો હતો. આ નકલી ઘીની ફેક્ટરી પર કામ કરતાં કામદારોમાંથી બે કામદારોની ધરપકડ પોલીસે કરી હતી અને ફેક્ટરીના માલિકો ફરાર થઈ ગયા હતા. મોટી રાજકીય વગ ધરાવતા આ નકલી ઘીને ચોખ્ખુ ઘી બનાવીને કાળો કારોબાર ચલાવતા આ ફેક્ટરીમાં દરોડો પડતા વિસ્તારમાં ચકચાર થઈ ગઈ હતી.
રામપુરા ગામમાં ચકડોળે ચડેલી ચર્ચા
ફેકટરી ચલાવનાર શખસ રાજકીય ઓઠા ધરાવતો તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ અધિકારીની મીઠી નજર હેઠળ જ આ કારોબાર ચાલતો હતો. મળતી માહિતી અનુસાર ઘણા વર્ષોથી આ ફેકટરી રામપુર ખાતે ધમધમી રહી હતી. તેમજ ફેકટરી જ્યાં ધમધમી રહી છે તેની નજીકમાં જ રામપુરા આઉટ પોલીસ સ્ટેશન ચોકી આવેલી છે. તેમજ ફેકટરીની સામે જયવીર પાર્ક સોસાયટીમાં સરકારી કર્મચારી રહેતા હોવા છતાં પણ આ નકલી ઘી બનાવવાનો કારોબાર ધમધમી રહ્યો હતો. તેમ છતાં રામપુરા પોલીસ કર્મચારીઓની અક્કલ કેમ ના આવી ? તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.