બાયડ, તા.૧૧
સાબરકાંઠા જિલ્લામાં બારેમાસ જોવા મળતી પરચૂરણની અછત હવે દિવાળી નજીક આવતાં વધુ વકરી છે. મોટા ભાગના વિસ્તારોમાં રૂ.૧, ર અને પ ના સિક્કાની અછતથી વેપારીઓ પરેશાન બની ગયા છે. જ્યારે પરચૂરણના અભાવે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે શાબ્દિક ચકમક ઝરવાના બનાવો તહેવારો સમયે વધી ગયા છે ત્યારે સ્ટેટ બેન્કના સત્તાવાળા વેપારીઓમાં પરચૂરણનું વિતરણ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.
- બેન્કો પરચૂરણ વિતરણ કરાવે તેવી માંગ
જિલ્લામાં પરચૂરણની કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી હોય તેમ છેલ્લા ગણા સમયથી પરચૂરણનો કકળાટ સાંભળવા મળી રહ્યો છે. બજારમાંથી રૂ.૧, ર ના સિક્કા અદ્રશ્ય થઈ જતા હોય તેમ જ્યાં જાઓ ત્યાં છૂટ્ટા નથીનું વાક્ય અચૂક સાંભળવા મળતું હોય છે. જ્યારે હવે રૂ.પ ના સિક્કાની પણ અછત કેટલાક વિસ્તારોમાં સાંભળવા મળી રહી છે. જિલ્લામાં દિપાવલીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જ બજારમાં ખરીદદારોની સંખ્યા વધી ગઈ છે પરંતુ છૂટા પૈસાનો કકળાટ રહેતાં વેપારીઓ ત્રાહીમામ પોકારી જાય છે. જિલ્લામાં રૂ.૧, ર અને પ ના સિક્કા બ્લેકમાં અન્યત્ર પધરાવી દેવામાં આવતા હોય તેમ દિવસે.. દિવસે પરચૂરણની અછત વિકટ બનતી જાય છે.
જિલ્લામાં છેલ્લા ગણા સમયથી પરચૂરણની અછતથી વેપારીઓ ઉપરાંત પ્રજા પણ પરેશાનીઓ ભોગવી રહી છે તેમ છતાં સ્ટેટ બેન્કના સત્તાવાળાઓએ પરચૂરણની અછત હળવી થાય તેવા કોઈ ખાસ પ્રયત્નો હાથ ધર્યા ન હોવાથી દિવાળીના તહેવારો સમયે જ જિલ્લામાં પરચૂરણનો કકળાટ ઉભો થયો છે. જિલ્લામાં એસ.ટી. બસ, ખાનગી વાહનો, કરીયાણાની દુકાનો અને પાનના ગલ્લાઓથી માંડી પરચૂરણનો કકળાટ હવે દૂધની દુકાનો સુધી પહોંચી ગયો છે ત્યારે જવાબદાર બેન્કોના સત્તાવાળાઓ વેપારીઓમાં રૂ.૧, ર અને પ ના સિક્કાનું વિતરણ કરાવે તો જ બજારમાં જોવા મળતી પરચૂરણની અછત કંઈક અંશે હળવી થાય તેમ છે.