પાલનપુર તા.૧૩
પાલનપુરમાં છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ભંગાર હાલતમાં પડેલા રસ્તાઓના સમાર કામ માટે સ્થાનીક સ્વાયત્ત સંસ્થા અને ધારાસભ્યની રજૂઆતને પગલે સરકાર દ્વારા રસ્તાના નવીનીકરણ માટે સાડા ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેના અનુસંધાને શહેરના કેટલાક રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવતા ઉહાપોહ મચી જવા પામ્યો છે. રસ્તાના કામમાં વ્યાપક ગેરરીતી ચાલતી હોવાની રાવ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવતાં તંત્ર દોડતું થઈ ગયું હતું.
- બાળ મજૂરો પાસે કામ કરાવવામાં આવતું હોવાની ચોંકાવનારી ફરિયાદને પગલે એક બાળ મજૂર બાળ રિમાન્ડ હોમમાં લઈ જવામાં આવ્યો : તંત્રમાં સળવળાટ
- પાલનપુરમાં લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવતા સ્થાનિક તંત્ર દોડતુ થયું
બ્રીજેશ્વર કોલોની પાસેથી પસાર થતાં રોડના કામમાં ગુણવત્તા અને નિયમોમાં ગેરરીતી આચરીને એસ્ટીમેટ મુજબનું કામ થતું ન હોવાની ફરિયાદને પગલે રહીશોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને સ્થાનિક સદસ્યો આશાબેન રાવલ,ગુલશનબેન વખારીયા દોડી આવ્યા હતા અને તેમણે પણ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.આથી મામલો વધુ વણસે તેવી સ્થિતિને પગલે પ્રાંત અધિકારી તેમજ પોલીસ ઈન્સપેકટર વિગેરે દોડી આવ્યા હતા અને રસ્તાના કામમાં ગેરરીતી ન થાય તે માટે સૂચના આપી હતી.ત્યારે સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે,રોડ બનાવવા માટે જરૂરી સફાઈ થતી ન હોવાની અને ડામરની અંદર બળેલું ઓઈલ વાપરીને માત્ર દેખાવ કરવામાં આવ્યો હોવાનું અને લેવલીગનું કામ યોગ્ય રીતે થતું ન હોવાની અને એસ્ટીમેટમાં કરાયેલ સુધારા મુજબનું કામ થતું ન હોવાની ફરિયાદને પગલે મામલો વણસ્યો હતો. પરંતુ અધિકારીઓની દરમ્યાનગીરીથી મામલો થાળે પડયો હતો.ત્યારે ઉપરોકત કામમાં બાળ મજુરોને મજુરી માટે લાવ્યા હોવાની ફરિયાદ ને પગલે શ્રમ અધિકારી જી.એલ.પટેલ ઉપરોકત સ્થળે પહોંચ્યા હતા.જયાં કેટલાક બાળ મજુરો દોડી ગયા હતા.
જયારે એક બાળ મજુર પકડાતાં તેને બાળ રીમાન્ડ હોમ ખાતે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,બાળકો પાસે મજુરી કરાવતાં કોન્ટ્રાકટરનું લાયસન્સ રદ કરવામાં આવે તો ભવિષ્યમાં પણ બાળકો પાસે મજુરી કરાવતાં અટકે તેમ છે.ત્યારે જિલ્લા કલેકઠર આ મામલે યોગ્ય પગલાં લે તેવી જનમાંગ પ્રવર્તી રહી છે.
જયારે આ મામલે પાલિકાના રોડ સુપરવાઈઝર ને પુછતાં તેઓ આ અંગે કંઈ જ કહેવાનો ઈન્કાર કર્યો હતો.ત્યારે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનમાં આવેલા નવા સવા સુપરવાઈઝર તો રીતસરના દોડી ગયા હતા અને આ અંગે નગરપાલીકા વાળાને પુછો તેવું કહીને ભાગ્યા હતા.
નાણાંનો પૂરેપૂરો લાભ પ્રજાને મળવો જોઈએ
સ્થાનિક સદસ્યા આશાબેન રાવલે જણાવ્યું હતું કે,પાલનપુરમાં ઘણાં લાંબા સમય બાદ રસ્તાઓનું કામ શરૂ થયું છે તેમાં પણ ગેરરીતી થવાને કારણે રસ્તાઓ તુટી જાય અને પ્રજાએ હાલાકી ભોગવવી પડે તેવી આ કામમાં ગેરરીતી ન થાય અને પ્રજાના નાણાંનો પુરેપુરો લાભ પ્રજાને મળે તેવું કામ થાય તે માટે અમે રજૂઆત કરી છે.