ગાંધીનગર, તા. ૩૦
ભારતભરના ક્રુડ ઓઇલ અને ગેસના અત્યાર સુધીમાં શોધી કઢાયેલા જથ્થા કરતાં સૌથી વધારે જથ્થો ક્રિષ્ના ગોદાવરી બેઝિનના પંડિત દિનદયાળ પ્રોજેક્ટમાંથી મળ્યો છે અને ૨૦૧૩માં ગુજરાતની ધરતી પર તે આવી પહોંચશે એવી જાહેરાતો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. આમ, મુખ્યમંત્રીના બ્રેઇન ચાઇલ્ડ પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી ધરાવતા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)એ કેજી બેઝિન બ્લોક્સમાં ક્રુડ અને ગેસના કુવા ખોદવા માટે એવા વૈશ્વિક પાર્ટનરો સાથે હાથ મિલાવ્યો જેના કારણે રૂ.૭૦૦૦ કરોડની જંગી રકમ છેવટે ખાડામાં ગઇ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
- GSPCએ કેનેડાની કંપનીના ભૂલભર્યા રિપોર્ટ પર મદાર રાખ્યો : લ્લ ૬૨૦૦ કરોડ રકમ તો ખોદકામમાં જ વધારે ખર્ચાઇ
જીએસપીસીએ કેનેડાની જીઓ ગ્લોબલ રિસોર્સિઝ ઇન્કની ટેકનિકલ અને નાણાકીય બાબતોની ચકાસણી વગર જ કેજી બ્લોકમાં બીડીંગ માટે ઝંપલાવ્યું હતું. મિલિયન વર્ક પ્રોગ્રામ હેઠળ ૧૦૨.૨૩ મિલિયન અમેરિકી ડોલરના અંદાજિત ડ્રિલિંગ ખર્ચ અને ૪૫,૩૪૮ મીટરની ઊંડાઇ સામે ખરેખર ૧,૩૦૨.૮૮ મિલિયન ડોલર એટલે કે રૂ.૫,૯૨૦.૨૭ કરોડનો ડ્રીલિંગ ખર્ચ થયો અને ૭૭,૩૯૫.૦૭ મીટર ઊંડાઇ જેટલું ડ્રિલિંગ થયું હતું. જીએસપીસીએ કયા પ્રભાવ હેઠળ આવીને આ કંપની સાથે હાથ મિલાવ્યા હતા, તેનો સીધો કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. પરંતુ કેનેડાની કંપનીએ પોતે ડ્રીમ પ્રોજેક્ટ બનાવેલું જીઓલોજિકલ મોડેલ જ અત્યંત ખામીયુક્ત હોવાથી જીએસપીસીના માથે ખરબોનો ખર્ચ આવી પડયો છે તેની આકરી ટીકા કેગના માર્ચ ,૨૦૧૧ના આજે વિધાનસભામાં રજૂ થયેલા ઓડિટ રિપોર્ટમાં કરવામાં આવી છે.
ઓડિટર રિપોર્ટમાં એવું પણ શોધી કઢાયું છે કે, બ્લોક્સના વિકાસ માટે કામગીરી ચાલી રહી હતી ત્યારે જ કેનેડાની જીઓ ગ્લોબલ રિસોર્સિસ કંપની પાસેથી એકપણ રૂપિયો લીધા વગર આ પ્રોજેક્ટમાં ૧૦ ટકાની ભાગીદાર બનાવી સંયુક્ત સાહસમાં સામેલ કરી દીધી હતી. આને લીધે જે ખર્ચ જીઓ ગ્લોબલે ભોગવવાનો હતો એવા સંશોધનનો રૂ.૭૮૦.૮૧ કરોડનો ખર્ચ અને વર્ષ ૨૦૦૭-૧૧નુ રૂ.૧૦૪.૧૪ કરોડનું વ્યાજ જીએસપીસીના શિરે આવ્યું હતું.
એટલું જ નહીં સમગ્ર બ્લોક માટે બોલી નક્કી કરતાં પહેલાં તકનિકી અને નાણાકીય મુદ્દાઓનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યા વગર કેજી માટે ઊંચી બોલી નક્કી કરવામાં આવી હતી. વળી, કેજી બ્લોક મેળવવામાં ઊંચી બોલી અપનાવવાના કારણે કપનીએ સંશોધન પ્રવૃત્તિમાં વધુ જોખમ વહોરી લીધું એટલું જ નહીં તેના લીધે દેવું પણ એટલું મોટું કરવું પડયું છે. વર્ષ ૨૦૦૬-૧૧માં રૂ.૨૧૪૦ કરોડનો જીએસપીસીનો દેવાનો આંક પહોંચી ગયો છે.
રિલાયન્સે GSPCના બ્લોકમાં દબાણ કરી પ્લેટફોર્મ બાંધ્યું
કેજી બ્લોકમાં થઇને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સબ સી પાઇપલાઇન રૂટ અથવા એસડબલ્યુપીએલઇએમ મૂકવા માટે ફક્ત સૈધાંતિક સંમતિ જ આપી હતી તેમ છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પાઇપલાઇનની સાથે કન્ટ્રોલ એન્ડ રાઇઝર પ્લેટફોર્મ ગોઠવી દીધું હતું. એટલું જ નહીં જ્યારે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે રિલાયન્સે ધરાર પોતાનો પ્રોજેક્ટ ફેરવવાનો ઇન્કાર કરી દીધો હતો. કેગ એ ટીકા કરી છે કે રિલાયન્સે સુયોજિત રીતે કેજી બ્લોકમાં દબાણ કરી સીઆરપીનું બાંધકામ કર્યું હતું
રિલાયન્સે અને જીએસપીસીના ભોગે અયોગ્ય રીતે લાભ મેળવ્યો હતો. એટલું જ નહીં જ્યારે જીએસપીસીને કેજી બ્લોકના ચોક્કસ વિસ્તારમાં કે જ્યાં રિલાયન્સનું દબાણ આવી જાય છે એ સહિતના ૪૭૪ કિમી વિસ્તારમાં ધરતીકંપ સંબંધિત થ્રીડી માહિતી મેળવવા સર્વે કરવાનો થતો હતો. રિલાયન્સે કરેલા દબાણવાળી જગાની નીચે દરિયાના પાણીમાં ફોટા પાડવા માટે મંજૂરી આપાવમાં વિલંબ કર્યો અને તેના લીધે જીએસપીસીને રૂ.૫.૭૬ કરોડનું નુકશાન સહન કરવું પડયું હતું.
અક્ષરધામ પર હુમલો થયો ત્યારે પહેલા મોદીએ કેજી બ્લોકના બીડિંગ માટે ૩૦૦ કરોડ મંજૂર કર્યા
૨૦૦૩માં અક્ષરધામ મંદિર ઉપર હુમલો થયો ત્યારે રાજ્યના આ જાહેરસાહસે કેજી બેઝિનના બિડિંગમાં ભરેલા ટેન્ડર માટે લાયક બનવા તત્કાળ રૂ.૩૦૦ કરોડની જરૂર હતી ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કમાન્ડોને મોકલી આપવા માટે દિલ્હી ફોન કરતાં પહેલા આ નાણાં ફાળવવાની ફાઇલ પર સહી કરી હતી. છેવટે આ બ્લોક જીએસપીસીને ફાળે આવ્યો હતો. ત્યારથી મોદી માટે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બન્યો હતો.