નવી દિલ્હી 30, માર્ચ
ભારતીય સૈન્ય માટે નબળી કક્ષાનાં વાહનો ખરીદવા ૧૪ કરોડ રૂપિયાની લાંચની ઓફર થઇ હોવાના આર્મી ચીફ જનરલ વી. કે. સિંહના આક્ષેપ બાદ ભારતીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આગામી દિવસોમાં સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટોનીએ પણ આ મામલે ખુલાસા કરવાની નોબત આવી શકે છે, કેમ કે એન્ટોનીને વર્ષ ૨૦૦૯થી 'ટેટ્રા' ટ્રક કૌભાંડ અંગે માહિતી હતી. એક અગ્રણી અંગ્રેજી અખબારે કરેલા ઘટસ્ફોટ મુજબ, એન્ટોની આ કૌભાંડની તમામ માહિતી ધરાવતા હતા પરંતુ તેઓ આંખ-કાન બંધ કરીને બેસી રહ્યા હતા. કર્ણાટકના નેતા ડી. હનુમનથપ્પાએ સોનિયા ગાંધીને આ મામલે પત્ર લખ્યો હતો, જે પત્ર યોગ્ય કાર્યવાહી કરવા માટે સંરક્ષણમંત્રાલયને મોકલી દેવાયો હતો. અખબાર પાસે એવા દસ્તાવેજ છે કે જેમાં આ બાબતો ખુલાસો થાય છે. હનુમનથપ્પાએ સોનિયાને લખેલા પત્રમાં જણાવાયું હતું કે ડીઈએમએલના સીએમડી વી. આર. એસ. નટરાજને ૬,૦૦૦ કરોડ રૂપિયાનો 'ટેટ્રા' ટ્રકનો કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપનીને આપવાના બદલે તેના બ્રિટિશ એજન્ટને આપ્યો હતો. પત્રમાં ઉમેર્યું હતું કે આ સોદો સંરક્ષણ ખરીદી માટેના દિશાનિર્દેશોના સીધા ભંગ સમાન છે, ત્યારબાદ ૫ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ સોનિયા તરફથી આરોગ્યપ્રધાન ગુલામનબી આઝાદે સંરક્ષણમંત્રાલયને એક પત્ર લખ્યો હતો અને આ મામલે જરૂરી પગલાં લેવા કહ્યું હતું. ૨૨ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ સંરક્ષણમંત્રાલયે પોતાના જવાબમાં કહ્યું હતું કે 'ટેટ્રા' ટ્રક સોદા મામલે તપાસ ચાલી રહી છે. આ મામલામાં જે પણ કાર્યવાહી થશે તેની માહિતી આપવામાં આવશે. આ જવાબ મોકલ્યાને બે વર્ષ થઈ ગયાં છે પરંતુ કોઈ પરિણામ મળ્યાં નથી.
|