લખનૌ, તા.૩૦
આમ જનતા સાથે ઘરોબો વધારવા 'જનતા દર્શન' ફરી શરૂ કરવા નિર્ણય
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આમ જનતા સાથે ઘરોબો વધારવાના આશયથી તેમના પિતા મુલાયમસિંહ યાદવ દ્વારા શરૂ કરાયેલા 'જનતા દર્શન' કાર્યક્રમને ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને એક કરકસર ઝુંબેશ અંતર્ગત તેમના કાફલામાં કારની સંખ્યા ૪૦થી ઘટાડીને ૮ કરાવી દીધી છે. અખિલેશે એવો પણ આદેશ કર્યો છે કે તેમનો કાફલો જે રસ્તા પરથી પસાર થવાનો હોય તે રસ્તાઓ પર સામાન્ય વાહનચાલકોને અગવડ ન પડે તે માટે વાહનવ્યવહાર અટકાવવાની પણ કોઇ જરૂર નથી.
મુખ્યમંત્રીની સુરક્ષા સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીએ આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે મુખ્યમંત્રીના કાફલામાંથી ૩૨ કાર પરત લઈ લેવાની સૂચના આપવામાં આવતાં તેમના કાફલમાં હવે કુલ ૮ જ કાર રહેશે.
અખિલેશે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ્થાનની અંદર તેમના પૂર્વગામી માયાવતી દ્વારા શરૂ કરાયેલી અત્યાધુનિક હોસ્પિટલ બંધ કરવાનો પણ આદેશ આપ્યો છે. અખિલેશે કહ્યું હતું કે આ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો તથા અન્ય સ્ટાફને એવી હોસ્પિટલોમાં મોકલવામાં આવે કે જ્યાં તેમની વધારે જરૂર છે. મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ્થાનમાં આ હોસ્પટિલ માયાવતીના આદેશથી ૨૦૦૮માં શરૂ કરાઇ હતી, જેનાથી રાજ્યની તિજોરી પર ર્વાિષક રૂ. ૭૫ લાખનો બોજ પડી રહ્યો હતો. આ હોસ્પિટલમાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ૨૨ ફાર્માસિસ્ટ, એક ડઝન નર્સ, ૪ હાઇટેક એમ્બ્યુલન્સ અને સ્પેશિયાલિસ્ટ તબીબો ૨૪ કલાક ફરજ પર હાજર રહેતા હતા.
જોકે, ૩૮ વર્ષીય અખિલેશે ઉત્તરપ્રદેશનું સુકાન સંભાળ્યા બાદ તેમની આ હિલચાલને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. અખિલેશે મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી લીધા બાદ એક પછી એક કરકસરનાં ઘણાં પગલાં લીધાં છે. તેમણે સુરક્ષાનાં ધારાધોરણોમાં પણ ફેરફાર કર્યા છે.