પટિયાલા, તા. ૩૦
હરપ્રીત કૌરનાં અપહરણ અને બળજબરીપૂર્વક ગર્ભપાત બદલ અન્ય ચારને પણ સજા
સીબીઆઈ અદાલતે આજે પંજાબના પ્રધાન જાગીર કૌરને તેમની પુત્રી હરપ્રીત કૌરનાં અપહરણ અને બળજબરીપૂર્વક ગર્ભપાતનાં કાવતરાં બદલ દોષિત ઠેરવ્યા હતા અને તેમને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. વિશેષ સીબીઆઈ ન્યાયાધીશ બલબિરસિંહે આ કેસનો ચુકાદો આપ્યા બાદ ૫૭ વર્ષીય પ્રધાન ભાંગી પડયા હતા, જોકે કૌરને હરપ્રીતની હત્યાના આરોપમાંથી મુક્ત કરાયા હતા.
શિરોમણી ગુરદ્વારા પ્રબંધક કમિટી (એસજીપીસી)ના ભૂતપૂર્વ પ્રમુખ કૌરે અદાલતના આદેશ બાદ તાત્કાલિક અટકાયતમાં લેવાયા હતા અને પટિયાલામાં સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા હતા. વર્ષ ૨૦૦૦ની ૨૦મી અને ૨૧મી વચ્ચે ફગવારાથી લુધિયાણાની ક્રિશ્ચિયમ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જતી વખતે હરપ્રીતનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.
જોકે, હરપ્રીતનું ડિહાઈડ્રેશન, ઊલટી અને તાવને કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનોના દાવા બાદ તેનાં મૃત્યુનું કારણ જાણવા માટે કોઈ પોસ્ટમોર્ટમ હાથ ધરાયું નહોતું અને તેને કપુરથલામાં કૌરનાં મૂળ વતન એવા બેગોવાલમાં ૨૧મી એપ્રિલે દફનાવી દેવાઈ હતી, જોકે, હરપ્રીતનાં મૃત્યુના કેટલાક દિવસ બાદ બેગોવાલના નિવાસી કમલજિતસિંહે તેના પતિ હોવાનો અને હરપ્રીત ગર્ભવતી હોવાનો દાવો કર્યો હતો. કમલજીતે હરપ્રીતના મોતની તપાસ હાથ ધરવા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સહારો લીધો હતો. હાઈકોર્ટે સીબીઆઈને આ કેસની તપાસ સોંપી હતી.
સીબીઆઈએ તપાસ દરમિયાન હરપ્રીતનાં અપહરણ, બળજબરીપૂર્વક ગર્ભપાતના આરોપ હેઠળ માતા જાગીર કૌર સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કૌર સાથે દલવિંદર કૌર ધેસી, પરમજિતસિંહ રાયપુર અને નિશાનસિંહને પણ અદાલતે હત્યાના કાવતરાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. આ કેસના અન્ય એક આરોપી સંજીવકુમારનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું જ્યારે એક આરોપી સત્ય દેવીને અદાલતે બધા જ આરોપોમાંથી મુક્ત કર્યાં હતાં.
|