નવી દિલ્હી 31,માર્ચ
સેના પ્રમુખ જનરલ વીકે સિંહને લાંચ આપવા સંબંધે સીબીઆઇને મોકલવામાં આવેલી ફરિયાદમાં રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ તેજીન્દર સિંહનું નામ લીધું છે. જનરલ સિંહે આ મામલે શુક્રવારની મોડી સાંજે પોતાની ફરિયાદ સીબીઆઇને મોકલી દીધી હતી. તે સમયે આ સ્પષ્ટ નહતું કે તેઓએ તેજીન્દર સિંહનું નામ લીધું છે કે નહીં. જો કે જનરલ સિંહે લાંચની રકમની વાત નથી કરી. સંભવતઃ સોમવારે આ મામલે સેના પ્રમુખને વધુ જાણકારી આપવામાં આવશે.
આ પહેલા કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જીએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર અને જનરલની વચ્ચે કોઇ મતભેદ નથી. કોલકત્તામાં પત્રકારો સાથે વાતચીતમાં મુખર્જીએ જણાવ્યું કે રક્ષા મંત્રી એકે એન્ટોનીએ આ મામલે સંસદમાં પોતાનો પક્ષ પણ રાખ્યો છે.
જો કે ડીઆરડીઓ ચીફ વીકે સારસ્વતે કહ્યું કે ટાટ્રા ટ્રકોનું પ્રદર્શન શાનદાર છે. નવી દિલ્હીમાં ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા માટે આવેલા સારસ્વતે કહ્યું કે પૃથ્વી અને અગ્નિ જેવી તમામ મહત્વપુર્ણ મિસાઇલોને લઇ જવામાં ઉપયોગમાં લેવાયેલા કોઇ પણ વાહન ખોટકાઇ ગયેલા નથી. તેઓએ કહ્યું કે જો રક્ષા મંત્રી અને સેનાધ્યક્ષની વચ્ચે કોઇ મતભેદ છે તો તેઓએ સાવધાનીપુર્વક ઉકેલ લાવવો જોઇએ.
આ પહેલા શુક્રવારે આર્મી ચીફ વીકે સિંહે પોતાનું વલણ નરમ કરતા કહ્યું કે કેટલાંક શરારતી તત્વો તેમના અને રક્ષા મંત્રી એકે એન્ટોનીની વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરી રહ્યા છે. તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ દેશની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓએ ભારપુર્વક જણાવ્યું કે સેના સરકારનું એક અંગ છે. તે સરકારથી અલગ નથી. તેઓએ કહ્યું કે સરકાર અને તેમની બંનેની કોશિશ છે કે સેનામાંથી ખોટા લોકોને બહાર કરવામાં આવે.
જનરલ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમના અને રક્ષા મંત્રીની વચ્ચે તિરાડ પાડવા માટે આ વાતો ફેલાવવામાં આવી રહી છે જે ખોટું છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે એન્ટોનીએ કહ્યું હતું કે લશ્કર પ્રમુખને બરતરફ કરવાનો કોઇ ઇરાદો નથી અને તેના પર સરકારનો ભરોસો યથાવત છે. સાથે સાથે તેઓએ ચેતવણી આપી હતી કે રક્ષા તૈયારીમાં ખામી દર્શાવતી સિંહની ચિઠ્ઠી લીક કરનારાઓને કડક સજા આપવામાં આવશે.