ઇન્સાઇટ - વિનોદ ડી. ભટ્ટ
ગયા રવિવારની કોલમમાં આપણે જોયું કે સ્ટીફન કોવીના ‘થર્ડ ઓલ્ટરનેટિવ’ નામના બેસ્ટ-સેલર પુસ્તકના મૂળમાં ગાંધી વિચારસરણી છે. બીજી જાણવા જેવી મજાની વાત એ છે કે વીતેલી પેઢીના બોલિવૂડના મહાનાયક રાજ કપૂરની ઘણી ફિલ્મોની મૂળભૂત થીમ એટલે કે એ ફિલ્મની સ્ટોરીની વિચારધારા પણ થર્ડ ઓલ્ટરનેટિવ ગણી શકાય એવી હતી. એ ફિલ્મની વાત ફરી ક્યારેક કરીશું.
આજના કોન્વેન્ટ કલ્ચરમાં ઉછરેલી પેઢીના જે યુવાનો, ગાંધી આઇડિયોલોજી આઉટડેટેડ છે અને ૨૧મી સદીમાં ‘ગાંધી ઇઝ નાવ ઇર્રિલેવન્ટ’ એવાં વિધાન કરવામાં પોતાને મોડર્ન અને પ્રોગ્રેસિવ માને છે, તેમણે બધાએ તો સ્ટીફન કોવીનું આ પુસ્તક ખાસ વાંચવા જેવું છે. આ પુસ્તક વાંચે તો તેમને ખ્યાલ આવશે કે આજના ઇન્ટરનેટ યુગમાં પણ આપણા ગાંધીબાપુ કેટલા અસરકારક રીતે પ્રસ્તુત, રિલેવન્ટ છે અને તેમના વિચારો આઉટડેટેડ નથી.
ગાંધી વિચારસરણીનું હાર્દ સમજ્યા વિના અને ગાંધી સાહિત્ય વાંચ્યા વગર જ કેવળ દેખાદેખીમાં ગાંધીજી વિશે અજુગતી વાત કરતાં આજનાં કોન્વેન્ટ કલ્ચરમાં ઉછરેલાં યુવાન-યુવતીઓને કદાચ ખબર નહીં હોય કે આપણા ગાંધી માટે સદીના મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇનસ્ટાઇને કેવું વિધાન કર્યું હતું. ગાંધીને છેક મહામાનવની ઉપલી ટોચે બિરાજમાન કરતું આઇનસ્ટાઇનનું વાક્ય છે : “આગામી પેઢીને કદાચ માન્યામાં નહીં આવે કે ગાંધી જેવા માણસે સદેહે ક્યારેક આ પૃથ્વી પર જન્મ લીધો હતો.” હવે સરખામણી કરો, કોલેજની કેન્ટીનમાં કે કોફીશોપમાં કોફીની ચૂસકી લેતા યુવાનના ગાંધી માટેનાં તદ્દન ટીકાત્મક વિધાન અને બીજી તરફ અત્યંત પ્રતિભાવંત વિજ્ઞાની આઇનસ્ટાઇનનું ગાંધી માટેનું વિધાન.
સ્ટીફન કોવીને કોઈકે પૂછયું, “તમારા મતે વિશ્વમાં સૌથી પ્રતિભાવંત ઉચ્ચ વ્યક્તિત્વવાળા મહાપુરુષ કોણ છે?”
કોન્વેન્ટ કલ્ચરવાળા યુવાનોએ દુનિયાના બેસ્ટ સેલર ઓથર એવા સ્ટીફન કોવીનો જવાબ યાદ રાખવા જેવો છે, સ્ટીફને ઉપરોક્ત પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું, “મહાત્મા ગાંધી મારા પર્સનલ હીરો છે.” સ્ટીફન આટલું કહીને જ નથી અટક્યા. ગાંધી વિચારસરણીનાં મોંફાટ વખાણ કરતાં તેમણે કહ્યું, “આ મહાપુરુષના કેટલાક ઉચ્ચ વિચારો જુઓ. રોજ સવારે ઊઠીને માણસે સંકલ્પ કરવો જોઈએ કે હું ભગવાન સિવાય કોઈનાથી ય ડરીશ નહીં. હું કોઈની પણ તરફ ઘૃણા કે ધિક્કારની ખરાબ લાગણી નહીં રાખું. કોઈનાય અન્યાયને હું નહીં સાંખી લઉં. હું સત્ય દ્વારા અસત્ય પર જીત મેળવીશ અને અસત્યનો સામનો કરતી વખતે મારે જે સહન કરવું પડે તે સહન કરીશ.”
સ્ટીફનના મતે અન્યાયના સામના માટે ગાંધીએ થર્ડ ઓલ્ટરનેટિવ - ત્રીજા વિકલ્પનું સર્જન કર્યું અને એ ત્રીજો વિકલ્પ એટલે અહિંસક પ્રતિકાર.
અંગ્રેજોની અન્યાયી નીતિના વિરોધમાં ગાંધીએ ન તો હિંસાનો માર્ગ લીધો કે ન તો તેઓ ગોરાઓના દમનથી બચવા ભાગી છૂટયા. આ પ્રકારની નીતિ તો પશુઓ અખત્યાર કરે છે. મુશ્કેલ સ્થિતિમાં પશુ કાં તો સામો હિંસક હુમલો કરે અને કાં તો ઊભી પૂંછડીએ ભાગી છૂટે..! અંગ્રેજીમાં આને માટે શબ્દ છે : ફાઇટ ઔર ફ્લાઇટ.
મોટાભાગના સરેરાશ લોકોનો પણ આવો જ વર્તાવ હોય છે. ઝઘડાથી કાં તો તેઓ દૂર જ રહે,ત્યાંથી ભાગી છૂટે અથવા તો પછી ગુસ્સાના અતિ આવેગ હેઠળ મારામારી પર ઊતરી પડે. અંગ્રેજોના અન્યાય સામે મહામાનવ ગાંધીએ પોતાના અંતરમાં ઊંડા ઊતરી જીવનની નવી જ ફિલોસોફી શોધી કાઢી- અહિંસક પ્રતિકાર. ત્રીજો વિકલ્પ, થર્ડ ઓલ્ટરનેટિવ.
‘બિઝનેસ એક્સલન્સ ઇન ડિસરપ્ટિવ એજ’ નામના વિચારપ્રેરક પુસ્તકના લેખક ટોમ પીટર્સે સ્ટીફન વિશે બહુ સરસ કહ્યું છે, “સ્ટીફન કોવી જે કહેવા માગે છે તે વાત તમે પાંચ પેજ કે તેથીય ઓછાં પેજમાં મેળવી શકો, પણ મારું તમને કહેવું છે કે તમે સ્ટીફનના પુસ્તકનું એકે એક પેજ ધ્યાનથી વાંચીને તેનો અમલ કરો. સ્ટીફને આ પુસ્તકના રૂપમાં આપણને કીમતી ભેટ આપી છે, પરંતુ આ પુસ્તકમાં લખેલી વાતોનો તમે રોજ ચીવટાઈથી અમલ કરશો તો તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકશો.
૨૨ વર્ષ અગાઉ સ્ટીફને લખેલા, ‘સેવન હેબિટ્સ’ પુસ્તકની અત્યાર સુધીમાં બે કરોડ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકનો ૩૮ ભાષાઓમાં અનુવાદ થયો છે.
નોબેલ પીસ પ્રાઇઝ મેળવનાર બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસ કહે છે ‘થર્ડ ઓલ્ટરનેટિવ’માં ડો. કોવી આપણી સામેની સમસ્યાઓ ઉકેલવા માટે આપણને કાંઈક અલગ રીતે વિચારવાની પ્રેરણા આપે છે. આજના યુગના પ્રશ્નો હલ કરવા માટે આપણે સૌએ આપણી દેશ- દેશ વચ્ચેની સરહદો, ભાષાઓ, સંસ્કૃતિ અને રાજકીય મતભેદો સહિતના તમામ મતભેદો બાજુએ મૂકી દેવા પડશે.
આ સદીની મોસ્ટ ઇન્ફલ્યુઅન્સ બિઝનેસ બુક તરીકે જે વખણાઈ છે એ બુક ‘થર્ડ ઓલ્ટરનેટિવ’ ઘર્ષણ અને વિવાદ ઉકેલવા તેમજ કોઈ પણ સમસ્યાના તદ્દન મૌલિક અને સર્જનાત્મક ઉકેલનો માર્ગ ચીંધે છે. આ પુસ્તકમાં એવું તે શું છે? વાંચો આવતા રવિવારે...
vinod.bhatt@sandesh.com