પેવેલિયન - એ. ડી. વ્યાસ
સચીન વિશ્વનો કાંઈ પ્રથમ ખેલાડી નથી કે જે ૩૮ વર્ષ સુધી રમતો રહ્યો હોય. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસ પર નજર નાખીએ તો ચાર ખેલાડી એવા છે કે જેઓ પોતાની છેલ્લી ટેસ્ટ ૫૦ વર્ષની ઉંમરે રમ્યા હતા, જ્યારે ૪૦થી ૪૯ વર્ષની ઉંમર સુધી રમનારા ખેલાડીઓની સંખ્યા ૩૫ની છે!
ખેલકૂદને ઉંમર સાથે કોઈ સંબંધ હોતો નથી. ખેલાડી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય ત્યાં સુધી તે રમતની મઝા માણી શકે છે. આ વાતનો ઉત્તમ દાખલો સચીન તેંડુલકરનો છે. આજે ૩૮ વર્ષની ઉંમરે પણ ૨૦ વર્ષના યુવાનને શરમાવે તેવી છટાથી રમે છે અને તેથી જ તે તેના ટીકાકારોને કહી શકે છે કે મને ક્રિકેટનો કક્કો મારા ટીકાકારોએ શીખવાડયો નથી.
ભારતીય ક્રિકેટ ટીમમાં વોલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડે કરેલી ટેસ્ટ ક્રિકેટની નિવૃત્તિ બાદ માસ્ટર બ્લાસ્ટર સચીન પણ તેને પગલે પગલે સંન્યાસ લેશે તેવી અટકળો હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦મી સદી ફટકાર્યા બાદ સચીન પણ બેટ અને બુટ અભરાઈએ ચઢાવી દેશે એવી પણ વાતો વહેતી થઈ હતી, પણ આ પ્રકારની ટીકાઓ કરનારાઓને તેણે સણસણતો જવાબ આપી દીધો છે કે જે દિવસે મને લાગશે કે હવે ક્રિકેટનો આનંદ નથી માણી શકતો તે દિવસે નિવૃત્તિ જાહેર કરી દઈશ.
સચીને ૧૫ વર્ષની ઉંમરે પ્રથમ કક્ષાની ક્રિકેટ અને ૧૬ વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને આજે ૩૮ વર્ષની ઉંમરે પણ તેટલી જ સ્ફૂર્તિ સાથે રમે છે જેટલી ૧૬ વર્ષની ઉંમરે હતી. તેનું ફૂટવર્ક આજે પણ અગાઉ જેટલું જ છે. અઢી દાયકાની કારકિર્દી પછી પણ ચપળતા(રિફ્લેક્સીસ) એવી ને એવી જ છે, આજે પણ બે અને ત્રણ રન દોડવામાં જરાયે મુશ્કેલી અનુભવતો નથી.
ભારતીય ટીમના અડધા ઉપરાંત ખેલાડીઓ એવા છે કે સચીને ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી ત્યારે તેઓનો જન્મ પણ નહોતો થયો. સચીનની સાથે અને તેના પછી ક્રિકેટ રમવાની શરૂઆત કરનારાઓએ બેટ-બોલ છોડીને માઇક હાથમાં લઈ લીધાં છે પણ સચીનની ક્રિકેટ-ભૂખ હજુ મટી નથી.
સચીને નિવૃત્તિ લેવી જોઈએ એવું બધા કહે છે પણ તેણે શા માટે નિવૃત્તિ લેવી જોઈએ તે કોઈ કહેતું નથી. તે વિશ્વનો કાંઈ પ્રથમ ખેલાડી નથી કે જે ૩૮ વર્ષ સુધી રમતો રહ્યો હોય. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસ પર નજર નાખીએ તો ચાર ખેલાડી એવા છે કે જેઓ પોતાની છેલ્લી ટેસ્ટ ૫૦ વર્ષની ઉંમરે રમ્યા હતા, જ્યારે ૪૦થી ૪૯ વર્ષની ઉંમર સુધી રમનારા ખેલાડીઓની સંખ્યા ૩૫ની છે.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૨૨ ખેલાડીઓ એવા છે કે જેઓ ૨૦ કરતાં વધુ વર્ષ ટેસ્ટ રમ્યા હોય. ઇંગ્લેન્ડના વિલ્ફ્રેડ રહોડ્સની ટેસ્ટ કારકિર્દી ૩૦ વર્ષ ૩૧૫ દિવસ, બ્રાયન ક્લોઝની ૨૬ વર્ષ ૩૫૫ દિવસ અને ફ્રેન્ક વુલીની ૨૫ વર્ષ ૧૩ દિવસની રહી હતી. ઇમરાન ખાન, બોબી સિમ્પસન અને ગેરી સોબર્સ ૨૦ વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમ્યા છે. વિશ્વમાં સૌથી નાની ઉંમરે (૧૫ વર્ષ ૧૨૪ દિવસ) ટેસ્ટ રમનાર પાકિસ્તાનનો મુસ્તાક મોહમદ પણ ૨૦ વર્ષ ટેસ્ટ રમ્યો હતો. ૪૧ વર્ષની ઉંમરે ટેસ્ટ સુકાની બનનાર લાલા અમરનાથ ૧૯ વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા. જ્યારે ફાધર ઓફ ક્રિકેટ ગણાતા ઇંગ્લેન્ડના ડબલ્યુ જી. ગ્રેસે ૫૦ વર્ષની ઉંમરે સુકાનીપદ સંભાળ્યું હતું.
વિજય મર્ચન્ટ ૪૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા હતા. મોહિન્દર અમરનાથે ૩૭ વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. તે પ્રથમ ટેસ્ટ ૧૯૬૯માં અને છેલ્લી ટેસ્ટ ૧૯૮૭માં રમ્યો હતો. આમ તે સાતમા, આઠમા અને નવમા એમ ત્રણ દશકમાં રમ્યો હતો. સચીને ૨૦મી સદીના બે અને ૨૧મી સદીના બે એમ કુલ ચાર દશક ક્રિકેટના મેદાન પર જોયા છે. આર. જે. જમસેદજી ૪૧ વર્ષ અને ૨૭ દિવસ અને સી. રામાસ્વામી ૪૦ વર્ષ અને ૩૭ દિવસના હતા ત્યારે ભારત તરફથી પ્રથમ ટેસ્ટ રમ્યા હતા. ઇંગ્લેન્ડના સાઉથર્ટને ૪૯ વર્ષ અને ૧૧૯ દિવસની ઉંમરે પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ૫૦ વર્ષની ઉંમર સુધી રમનારા ખેલાડીઓની યાદી બનાવીએ તો અખબારનું આખું પાનું ભરાઈ જાય. ભારતના પ્રથમ સુકાની સી. કે. નાયડુ ૬૨ વર્ષની ઉંમર સુધી પ્રથમ કક્ષાની ક્રિકેટ રમ્યા હતા. ૬૧ વર્ષની ઉંમરે તો તેમણે સદી ફટકારી હતી.
સાતમો બોલ
સચીનની ઉંમર થઈ ગઈ છે હવે તેણે નિવૃત્તિ લેવી જોઈએ એવું કહેનારાઓને સચીને એવું કહેવા જેવું હતું કે, “બુઢ્ઢા હોગા તેરા બાપ, અભી તો મૈં જવાન હૂં.”
newsvnm@yahoo.com