આણંદ, વિધાનગર, તા.૩૧
વલ્લભવિદ્યાનગર પાસેના કરમસદ ગામે સંદેશર માર્ગ ઉપર રહેતી દલિત પરિવારની પરિણીતાને અસ્વસ્થ હાલતમાં ત્રણ દિવસ પૂર્વે સભ્યોએ તેણીને કરમસદ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્ત જાહેર કરી ઘટના અંગે વલ્લભવિદ્યાનગર પોલીસમથકે જાણ કરતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરિણીતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણીનું ગળેફાંસો ખાઇ લેતા શ્વાસ રૃંધાવાથી મોત નિપજ્યુ હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે સધન તપાસ હાથ ધરતા પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી ગળેફાંસો ખાઇ લીધો હોવાનુ ઉજાગર થતા પોલીસે ગતરોજ તેણીના પતિ, સાસુ તથા નણંદની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
- ફરિયાદના આધારે પોલીસે સાસરિયાઓ વિરૃદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ અંગેની મળતી પ્રાપ્ત માહિતી અનુસાર વલ્લભવિદ્યાનગર પાસેના કરમસદ ગામે સંદેશર માર્ગ ઉપર જીઇબી ગ્રીડ પાસે રહેતા જગદીશ હરિજનનો પુત્ર મિતેષ મોટર ડ્રાઇવિગ શીખવા માટે ગયો હતો. તેના પિતા કરમસદ મેડીકલમાં પટાવાળાની ફરજ પર તૈનાત હતા તથા તેની માતા તથા બહેન અન્ય રહીશોના ઘરે ઘરકામ કરવા ગયા હતા. દરમ્યાન બપોરના ૧૨.૩૦ વાગ્યાના સમારે મિતેષ હરિજન ડ્રાઇવીંગનો ટ્રાયલ લઇને ઘરે પરત આવતા મકાનનું બંધ બારણું જોઇ પત્ની કાજલ (ઉ.વ.૨૦)ને મોટા સાદેથી સંબોધ્યા છતાં તેણીએ બારણુ ન ખોલતા આખરે બારણું તોડીને ઘરમાં પ્રવેશેલા મિતેષે કાજલને પથારીમાં સુઇ રહેલી હાલતમાં જોયા બાદ તેને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે નિશ્ચેતન જેવી અવસ્થામાં રહેલી પત્નીને જોતા તેણે પોતાના પરિવારજનોને સ્થળ ઉપર બોલાવી પતિ સહિત કાજલને કરમસદ મેડીકલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્ત જાહેર કરતાં તબીબની જાણકારીના આધારે વલ્લભવિદ્યાનગર પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી મૃત્તદેહને પી.એમ. અર્થે મોકલી આપ્યો હતો. જોકે પી.એમ. રિપોર્ટમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ લેતા શ્વાસ રૃંધાવાને કારણ તેણીનું મૃત્યુ નિપજ્યુ હોવાની હકિકતો ઉજાગર થતાં સ્થાનિક રહીશોમાં પરિણીતાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા ગુજારાઇ છે તે અંગે અનેક તર્કવિર્તર્કો જન્મ્યા હતા. પરિણીતાના મૃત્યુ બાદ તેના પતિનું નાટયાત્મક રીતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું, ઉપરાંત મૃત્તકના અગ્નિસંસ્કાર અંગે પરિવારનું પેટલાદ તા.ના ફાગણી ગામે જવા સુધીના સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે ગુપ્ત વૉચ રાખી ગુનાનો ભેદ ઉકેલવા કમર કસી હતી. જોકે પોલીસની સઘન તપાસ ઉપરાંત મૃત્તક કાજલની માતા ગીતાબેન રાવજીભાઇ વાઘેલા (રહે. હરીઓમનગર, વલ્લભવિદ્યાનગર)નાઓએ સાસરીપક્ષના ત્રાસથી પોતાની પુત્રીએ ગળેફાંસો ખાઇ લીધો હોવાની હકિકતો બયાન કરતાં વલ્લભવિદ્યાનગર પોલીસે ગતરોજ પરિણીતાના પતિ મીતેષ જગદીશભાઇ, સાસુ દક્ષાબેન જગદીશભાઇ તથા નણંદ છાયા જગદીશભાઇ વિરૃદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬, ૪૯૮ (એ) મુજબ ગુનો નોંધી ગતરોજ ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા. પરિણીતાને આત્મહત્યા માટે મજબુર કરનાર સાસરિયાઓની ધરપકડને પગલે વલ્લભવિદ્યાનગર-કરમસદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.