રાંચી, તા. ૩૧
ઝારખંડમાં નોટકાંડ બાદ રાજ્યસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની ચૂંટણીને રદ કરવાનો નિર્ણય કરાયો છે. ચૂટંણીપચે આ સંબંધમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મોડી રાત્રે પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી. ચૂંટણીપંચના જણાવ્યા મુજબ ઝારખંડમાં ચૂંટણી માટે જાહેરનામું નવેસરથી જારી કરવામાં આવશે, આનો અર્થ એ થયો કે ઉમેદવારીપ્રત્રોની પ્રક્રિયા અને મતદાન પણ નવેસરથી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે એક અપક્ષ ઉમેદવારના ભાઈની કારમાંથી બે કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. રાંચીમાં એક કારમાંથી બે કરોડની જંગી રકમ મળી આવ્યા બાદ ચૂંટણીને રદ કરવાનો નિર્ણય કરાયો છે. એમ માનવામાં આવે છે કે આ રકમ ધારાસભ્યોને આપવા માટે લાવવામાં આવી હતી. આ સંબંધમાં મુખ્ય ચૂંટણીપંચે રાજ્ય ચૂંટણીપંચ પાસેથી અહેવાલ માગ્યો છે.