અમદાવાદ, તા.૩૧
કાલુપુર રેલવે યાર્ડમાં જન્મભૂમિ એક્સપ્રેસમાંથી મળી આવેલી ત્રણ માસની બાળકી પોતાની હોવાનો દાવો કરી મુંબઇથી અહીં આવેલી મહિલા બાળકીને લેવા મહિપતરામ આશ્રમ પહોંચી ત્યારે ભારે નાટયાત્મક દૃશ્યો સર્જાયા હતા. બાળકીને જોતાં જ માતાની આંખમાંથી હર્ષાશ્રુ સરી પડયા હતા. પણ બીજી તરફ, આ મહિલા પોતે જ બાળકીની માતા છે તેવા કોઇ નક્કર પૂરાવા રજૂ ન કરી શકતા રેલવે પોલીસે મહિલા અને બાળકીના ડીએનએ ટેસ્ટ કરાવી તેના દાવાની યયાર્થતા ચકાસવા નિર્ણય લીધો છે.
- મહિપતરામ આશ્રમમાં માતા- પુત્રીનું મિલન.. પણ સત્ય શું ?
- ત્રણ માસની બાળકીને લેવા મુંબઇથી આવેલી મહિલા માતા- પુત્રીનાં સંબંધના પુરાવા રજૂ ન કરી શકી
- પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવી હ્લજીન્નો રિપોર્ટ લેવા નિર્ણય લીધો
- પુરાવો ન મળે ત્યાં સુધી બાળકી મહિપતરામ આશ્રમમાં જ રહેશે
ટ્રેનમાંથી મળેલી બાળકી પોતાની હોવાનો મુંબઇના ભિવંડીમાં રહેતી શાહીદાએ અહીંના મહિપતરામ આશ્રમનો સંપર્ક સાધી દાવો કર્યો હતો. તેની કેફિયત મુજબ ગૃહક્લેશમાં દારૂડિયો પતિ યાસીન હુસૈન બાળકીને લઇ ૧લી માર્ચે ઘર છોડી જતો રહ્યો હતો. ગત બુધવારે ટ્રેનમાં પુત્રી ત્યજી દઇ તે ફરાર થઇ ગયો હતો. આરપીએફના જવાનોને એસ- ૧ કોચમાંથી મળેલી બાળકીનો કોઇ વાલી- વારસ ન મળતા અંતે મહિપતરામ આશ્રમને સોંપાઇ હતી. ન્યૂઝ ચેનલો પર લાપતા બાળકી મળ્યાના સમાચાર શાહીદાની અમદાવાદમાં રહેતી બહેન ફાતીમાએ જોયા હતા. તેણે શાહીદાને જાણ કરી હતી. અંતે બાળકીને લેવા તે આજે આવી હતી. આ બાળકી તેની જ છે તેવું પુરવાર કરવા નક્કર પુરાવા પણ મહિપતરામ આશ્રમના સંચાલકો અને રેલવે પોલીસે મંગાવ્યા હતા.
આજે બપોરે શાહીદા મહિપતરામ આશ્રમ પહોંચી, ત્યાં દીકરી સાથે પુર્નિમલન થતા તેની આંખ ભરાઇ આવી હતી. આશ્રમના સંચાલકોએ તેને રેલવે પાલીસ સમક્ષ મોકલી હતી. પોલીસે માતાની બે કલાક પૂછપરછ કરી હતી. શાહીદા પાસે બાળકી જ્યારે ૧૫ દિવસની જ હતી ત્યારે પાડેલો એક માત્ર ફોટો હતો, તાજેતરનો કોઇ ફોટો ન હતો. બાળકીનું બર્થ સર્ટિફિકેટ પણ ન હતું. તેણે રહેઠાણના પુરાવા, મેડિકલ ફાઇલ, રેશન કાર્ડ જેવા વિવિધ પુરાવા રજૂ કર્યા હતા. આથી પોલીસ માટે દ્વિધાભરી સ્થિતિ સર્જાઇ હતી. અંતે માતા હોવાનો નક્કર પુરાવો લેવા પોલીસે બંનેના ડીએનએ ટેસ્ટ કરાવવા નિર્ણય લીધો હતો. એફએસએલ આ રિપોર્ટ આપે તે સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં આઠથી દસ દિવસ જેટલો સમય થશે અને તે દરમિયાન બાળકી હજુ મહિપતરામ આશ્રમમાં જ રહેશે.