જામનગર, તા.૩૧
જામનગરમાં સોઢાના ડેલા વિસ્તારમાં રહેતા એક યુવાનને લગ્નની લાલચ આપી છેતરપિંડી કરનાર એક મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. આ યુવાન સાથે લગ્ન કરનાર યુવતી અને અમદાવાદના મેરેજ બ્યુરોની સંચાલિકા મહિલાની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં આશાપુરાના મંદિર નજીક સોઢાના ડેલા વિસ્તારમાં રહેતા અને અખબાર વિતરક રમેશ છગનલાલ ત્રિવેદી (ઉ.વ.૩૯)ના લગ્ન અમદાવાદની ગીતા જગદીશભાઈ પટેલ નામની યુવતી સાથે થયા હતા.
- લગ્નની લ્હાયમાં યુવાન એકાદ લાખના શીશામાં ઉતરી ગયો
આ લગ્ન ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી હંસાબેન નારણભાઈ નામની મહિલા, અમદાવાદમાં પ્રિયંકા મેરેજ બ્યુરો ચલાવતી રમાબેન બારોટ અને ભવાનભાઈ દેવશીભાઈ રબારીએ કરાવી આપ્યા હતા. ત્યારબાદ આ ટોળકીએ રમેશ પાસેથી રોકડા રૂ.૮૦ હજાર અને સોનુ મેળવી લીધુ હતું. એક અઠવાડિયુ સાથે રહયા પછી ગીતા તેના પિયર ગઈ હતી. જયાંથી તેણી પાછી ન આવતા રમેશે કરેલી તપાસ દરમિયાન ગીતા જુદા-જુદા યુવકો સાથે લગ્ન કરીને તેમની સાથે છેતરપિંડી કરતી હોવાનું જાણમાં આવ્યું હતું. આથી રમેશે પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરી રૂ.૧ લાખની મતા પડાવી લેવા અંગે ગીતાબેન, હંસાબેન, રમાબેન અને ભવાનભાઈ સામે સિટી એ ડિવિ.માં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી જામનગરમાં રહેતી હંસાબેન નામની મહિલાને પકડી પાડી અદાલતમાં રજુ કરતા અદાલતે તેણીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ દરમ્યાન આ પ્રકરણમાં સંડોવાયેલ અમદાવાદના પ્રિયંકા મેરેજ બ્યુરોની સંચાલિકા રમાબેન બારોટ અને ગીતાબેન જગદીશભાઈ અમદાવાદમાં હોવાની બાતમીના આધારે સિટી એ ના પીઆઈ સમીર જોશીની સુચનાથી તેમના સ્ટાફે અમદાવાદ પહોંચી બંનેની ધરપકડ કરી જામનગર લઈ આવ્યા હતા. પોલીસે રમાબેન અને ગીતાબેનને રિમાન્ડ ઉપર લેવા કાર્યવાહી હાથ ધરી છે.