અમદાવાદ, તા.૩૧
ક્રાઈમબ્રાંચના તત્કાલીન એ.એસ.આઈ અને હાલ કે કંપનીમાં ફરજ બજાવતા નિઝામ સૈયદના બે પુત્રો સંચાલિત આલિયા એન્ટરપ્રાઈઝ અને કે.એસ.પી.ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ કરેલા ‘એક કા તીન કૌભાંડલ્લ ની અનેક ફરિયાદ જુદા જુદા પોલીસમથકોમાં નોંધાયેલી છે. જે અનુસાર નવંરગપુરામાં થયેલી ફરિયાદ અનુસંધાને મોઈનુદ્દીન ઉર્ફે મોઈન નિઝામુદ્દીન સૈયદ અને તેના સાથીદાર આબીદ શેખે સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ આજે નવંરગપુરા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બાદમાં મોઈનના નિવાસસ્થાને પોલીસે દરોડા પાડી સર્ચ કર્યું હતું. બીજી બાજુ ધરપકડની ઘટના ઢાંકવા આ કેસની તપાસ કરતા પીએસઆઈએ ભરપૂર પ્રયાસો કર્યા હતા.
- ધરપકડ બાદ નિઝામ સૈયદના પુત્ર મોઈનના ઘરે પોલીસના દરોડા
ઉલ્લેખનીય છે કે, કે.એસ. પી.ઈન્વેસ્ટમેન્ટ નામે કંપની શરૂ કરી અનેક રોકાણકારોના લાખો રૂપિયા ખંખેરનારા પોલીસપુત્ર મોઈનુદ્દીન ઉર્ફે મોઈન નિઝામુદ્દીન સૈયદ અને તેના સાથીદાર આબીદ શેખ વિરુદ્ધ ચાર મહિના પૂર્વે ઠગાઈની પોલીસ ફરિયાદ નવરંગપુરામાં નોંધાઈ હતી. કુલ ૨૨૫ લોકોના રૂ.૫.૬૦ લાખ ખંખેરી લીધાની આ પોલીસ ફરિયાદમાં ધરપકડ ટાળવા મોઈન અને આબીદે સેશન્સ કોર્ટમાથી આગોતરા જામીન મેળવ્યા હતા. આજે ૩૧ માર્ચે ૧૧ થી પાંચ વાગ્યા દરમિયાન પોલીસમથકે હાજર થવાનો કોર્ટે આદેશ કર્યો હોવાથી બંને પોલીસ સમક્ષ રજૂ થયા હતા. જેથી નવરંગપુરા પોલીસે ધરપકડની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ મોઈનના નિવાસસ્થાને પોલીસે દરોડા પાડી જડતી કરી હતી.
આગોતરા મળી જાય તે માટે પોલીસનું ઢીલું વલણ
ઠગાઈના આ સમગ્ર પ્રકરણમાં પહેલેથી જ પોલીસ દ્વારા માહિતી છુપાવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. આજે પણ ધરપકડ બાદ કેસની તપાસ કરતા પીએસઆઈ આર.એન.ગઢવી દ્વારા ધરપકડના સમાચાર છુપાવવા દોડધામ કરી હતી. પોલીસબેડામાં એવી પણ ચર્ચા સાંભળવા મળી હતી કે, મોઈન વિરુદ્ધ ક્રાઈમબ્રાંચમાં ૧.૭૧ કરોડ અને નવરંગપુરામાં પણ લાખો રૂપિયાની છેતરપીંડીની ફરિયાદો હોવા છતાં આગોતરા જામીન અરજીના વિરોધમાં પોલીસ દ્વારા એવી કોઈ નક્કર માહિતી જ પૂરી પાડી ન હતી જેથી કોર્ટને મોઈનના આગોતરા નામંજૂર કરવા માટે કોઈ વ્યાજબી કારણ મળે. ચર્ચાય રહ્યું છે કે, મોઈનને સરળતાપૂર્વક આગોતરા જામીન મળી જાય તેવી યોજના ખુદ નવરંગપુરા પોલીસે જ ઘડી હોય તેવું દેખાઈ રહ્યું છે.