રાજકોટ તા.૩૧
સતત વધતી જતી મોંઘવારીનાં કારણે આમ આદમીનું જિવન વધુ દોહ્યલું બન્યુ છે. સીંગદાણા અને તેલની સંગ્રહખોરી અને સરકાર તથા પુરવઠા તંત્રની નિષ્ક્રિયતાનાં પરિણામ સ્વરૂપ ટેક્સપેઈડ સીંગતેલનો ડબ્બો આજે રૂ.૨૦ વધીને રૂ.૨૦૫૦ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. છૂટક તેલનો ભાવ રૂ.૧૩૫ જેટલો નોંધાતાં, આ કમ્મરતોડ ભાવવધારાના પગલે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.
- કપાસિયા, વનસ્પતિ અને પામોલિનમાં રૂ.૨૦ થી ૩૫ નો ઉછાળો
સીંગદાણાની બેરોકટોક નિકાસ, પિલાણ માટેની મગફળીનો અભાવ, સંગ્રહખોરી અને ચૂંટણી ફંડ માટે તેલમિલરો પર વધારવામાં આવેલાં કહેવાતાં દબાણના પગલે તેલબજારમાં થતી બેફામ નફાખોરીનો ભોગ સૌથી વધુ સામાન્ય માનવી બની રહ્યો છે. એક તરફ ખેડૂતો પાસે બિયારણ સિવાય મગફળી નથી, તો બીજી તરફ મિલર્સ, સંગ્રહખોરો અને વેપારીઓ પાસે જ માલ રહેતાં, દાણામાં ઉંચુ વોલ્યૂમ જોવા મળી રહ્યુ છે. મગફળીના કામકાજ પણ માત્ર ૪-૫ ગાડી જેટલાં જ નોંધાયા હતા. ચીની બજારોમાં દેશી મગફળીની વધતી માંગના પગલે સર્જાઈ રહેલી એકધારી તેજી અને સરકાર દ્વારા કડક પગલાંના અભાવે સંગ્રહખોરીને છૂટો દૌર મળ્યો છે. માત્ર પાંચ માસ પહેલાં રૂ.૯૪-૯૫ના ભાવે મળતાં સીંગતેલમાં માત્ર ત્રણ જ માસમાં નોંધપાત્ર ઉછાળાના કારણે ખાદ્યતેલ કિલે રૂ.૪૦ જેટલું વધી, રૂ.૧૩૫ સુધી પહોંચ્યુ છે. દરમિયાન, આજે ટેક્સપેઈડ ડબ્બામાં રૂ.૨૦નો ઉછાળો જોવા મળતાં, સપાટી ફરી રૂ.૨૦૫૦એ પહોંચી હતી. ૧૫ લીટર તેલના ભાવ રૂ. ૧૮૮૦ની સપાટીએ, જ્યારે કપાસિયામાં પણ, રૂ.૨૦નો ઉમેરો થતાં, ૧૫ લીટરના ભાવ રૂ.૧૦૬૫ની સપાટીઓ સ્થિર થયા હતા. વનસ્પતિ ઘી રૂ.૧૦૪૦-૧૧૪૦, પામોલિન પણ રૂ.૩૫ વધીને રૂ.૧૦૩૫ના ભાવે બંધ થયા હતા.