અમદાવાદ, તા.૩૧
સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સલામતી અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિર્દેશો હેઠળ એરપોર્ટને અલાયદી ડોગ સ્ક્વોડથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. દેશના તમામ એરપોર્ટ પર બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝેબલ સ્ક્વોડમાં હવે ડોગ સ્ક્વોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડોગ સ્ક્વોડની જાળવણી એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઇએસએફના જવાનોને સોંપવામાં આવી છે.
- ડોગ માટે એરકંડિશન કેનલ અને અલાયદી ઓફિસ બનાવાશે
હવે એરપોર્ટ સંકુલમાં કોઇ ચીજવસ્તુઓ કે બિનવારસી લગેજ મળી આવશે તો તાત્કાલિક ડોગ સ્કવોડની મદદથી તેનું નિવારણ લાવી શકાશે. અત્યાર સુધી એરપોર્ટ પર બોમ્બની અફવા જેવી ઇમરજન્સી સમયે કે બિનવારસી લગેજની ચકાસણી માટે ગુજરાત પોલીસની ડોગ સ્કવોડની ટીમ બોલાવવામાં આવતી હતી. આમાં ઘણી વખત ડોગ સ્કવોડ બીજા કોઇ કેસમાં વ્યસ્ત હોય અથવા તો અન્ય કોઇ કારણોસર મોડી પહોંચતી હોવાના બનાવો પણ બનતા જેથી અનેક મુશ્કેલીઓ સર્જાતી હતી. હવે એરપોર્ટ ઓથોરિટીએ ખુદની ડોગ સ્કવોડ મુકવાનું નક્કી કર્યું છે. જેમાં હાલ અમદાવાદ એરપોર્ટ પર ડોગ સ્કવોડમાં એક મેલ, બે ફિમેલ લેબ્રાડોર રિટ્રાઇવર અને એક મેલ ગોલ્ડન રિટ્રાઇવરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડોગને રહેવા સ્પેશિયલ એરકંડિશન ડોગ કેનલ તેમજ ડોગકિપર્સ માટે અલાયદી ઓફિસ, તેમના ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ વાહનની વ્યવસ્થા કરાઇ છે. હાલમાં ચાર શ્વાન પૈકી બે શ્વાનને ૩૦ માર્ચથી અમદાવાદ એરપોર્ટ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે બે શ્વાનને આગામી સપ્તાહ સુધી લાવવામાં આવશે.
એરપોર્ટ પર બે નવા રડાર અને એટીસી ટાવર
સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અતિઆધુનિક એવા બે નવા રડાર મુકવામાં આવશે. યુરોપિયન કંપનીએ બનાવેલા હાઇટેક રડાર રૂ. ૧૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા રડાર ડિસેમ્બર-૧૨ના અંત સુધીમાં કાર્યરત કરી દેવામાં આવશે. ફલાઇટની મૂવમેન્ટ પર કંન્ટ્રોલ રાખતા નવા એટીસી ટાવરનો પ્રોજેક્ટ અમલી કરાયો છે. હાલમાં એટીસી ટાવરનું બિલ્ડિંગ અત્યંત જૂનું છે. હવે તેની જગ્યા બદલીને એટીસી ટાવર ડોમેસ્ટિક એરપોર્ટ ર્ટિમનલ-૧ પર લઇ જવામાં આવશે. રૂ. ૪૦ કરોડના ખર્ચે તૈયાર થનારા એટીસી ટાવરની ઊંચાઇ ૪૫ મીટરની હશે. એટીસી ટાવર લેટેસ્ટ કોમ્યુનિકેશનલ એન્ડ ઇલેકટ્રોનિક્સ ઇક્વિપમેન્ટથી સજ્જ કરાશે.