રાજકોટ તા. ૩૧
વિશ્વભરને પ્રેમ કરૂણા, સહનશીલતા, ધૈર્ય, એકપત્ની વ્રત,સહિતના આદર્શ શીખવનારા મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંદ્રજીના જન્મ દિન નિમિતે સૌરાષ્ટ્રભરમાં આધ્યાત્મિક ભાવ અને ભકિમય માહોલ છવાયો છે. ગામે ગામ રામજી મંદિરોમાં બપોરે બાર કલાકે ઘંટારવ સાથે રામલલ્લાનો જન્મદિન ઉજવવામાં આવશે. આ માટે મંદિરોમાં મહાપૂજા, આરતી અને સમૂહભોજન સહિતના કાર્યક્રમો આયોજિત કરાયા છે.
- શોભાયાત્રા, ધાર્મિક કાર્યક્રમોના થયેલા આયોજન
ગોંડલ : અહીં કાશીવિશ્વનાથ રામજી મંદિર ખાતે સંત શ્રી હરિચરણદાસજી મહારાજની ખાસ ઉપસ્થિતિમાં રામજન્મમહોત્સવ ઉજવવામાં આવશે. જુદા જુદા સ્થળોએથી ભાવિકો ગોંડલ આવી રામનવમી મહોત્સવમાં જોડાશે.
જામખંભાળિયા : જામખંભાળિયા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સંયુકત ઉપક્રમે આજે સાંજે ચાર વાગ્યે રામમંદિરેથી નીકળશે. જે બરછા સ્ટ્રીટ, લુહારશાળ, ગુગળી ચોક, વિજય ચોક, શાકમારકેટ, રાજડા રોડ, જોધપુર મેઈન ગેટ, નગર ગેઈટ વિગેરે વિસ્તારોમાંથી પસાર થઈ રામમંદિરે પૂર્ણ થશે.
ધોરાજી : રામચરિત માનસ સુદરકાંડ મંડળના ઉપક્રમે રામનવમી નિમિતે વઘાસિયા ચોરા પાસે રામમંદિર ખાતે રામજન્મોત્સવ ધામધુમથી ઉજવાશે. સાવરે નવ કલાકથી બપોરના ૧૨ કલાક સુધી રામચરિત માનસ સુંદરકાંડ પાઠનું ગાન થશે. એમ જગદીશભાઈ બોરખતરિયાએ જણાવ્યું છે. રામનવમી નિમિતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. રામચંદ્ર ધુન મંડળ, અને દરીદ્રનારાયણ ટ્રષ્ટ દ્વારા સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી બાર કલાક અખંડ ધુન સંકિર્તન કરવામાં આવશે. રામમંદિર યુવક મંડળ દ્વારા ઠંડા પીણા શરબત વિતરણ કરવાનું પણ આયોજન કરાયુ છે. શહેરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે એકદીવસીય ભવ્ય લોકમેળો યોજાશે. જેમાં વિવિધ મનોરંજન યાંત્રિક સાધનો રહેશે. રામજન્મ મહોત્સવ ઉપરાંત કડિયાવાડ ખાતે આવેલા ભગવાન સ્વામિનારાયણ પ્રસાદી સ્થાન મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સ્વ ઉજવાશે.
ઉના : ઉનાના રામજીમંદિરે બપોરે બાર વાગ્યે ધામધુમથી રામજન્મોત્સવ ઉજવવામાં આવશે. આ પ્રસંગે મહાઆરતી, તેમજ પંજરીપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. બપોરે સાડા ત્રણ કલાકે વિહિપ અને બજરંગદળના સંયુકત ઉપક્રમે શહેરમાં ભવ્ય પાલખીયાત્રા નીકળશે. જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી સાંજે રામમંદિરે પરત ફરશે.
સાવરકુંડલા : રામનવમી અને રામજન્મદિન નિમિતે સાવરકુંડલા સંપૂર્ણ રામમય બની ગયું છે. રામજન્મોત્સવ સમિતિના પ્રમુખ મહેશભાઈ સુદાણી અને મંત્રી ભુપેશભાઈ મહેતાએ ધુરા હાથમાં લઈ જુદા જુદા કાર્યક્રમો આયોજિત કર્યા છે. શહેરમાં ઠેરઠેર ચા અને પાણીના વિનામૂલ્યે કાઉન્ટરો શરૂ કર્યા છે. શહેરના જુદા જુદા યુવક મંડળો અને સંગઠનોએ લતાવાઇઝ શહેર શણગારની જવાબદારી ઉપાડી લીધી છે. જન્મોત્સવ સમિતિ કાર્યાલય સામે ઝળહળતી રોશની,ફુવારા અને અવનવી ડીઝાઈનો લાઈટ ડેકોરેશન સજાવવામાં આવ્યા છે. શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે જે બે કિલોમિટર લાંબી હશે. જેમાં ઉટગાડીઓ ટ્રેકટરો, બળદગાડાઓ જોડાશે. શોભાયાત્રામાં ડીજે તેમજ બેન્ડપાર્ટી રહેશે. બહારગામના લોકો સાવરકુંડલા આ કાર્યક્રમ નિહાળવા ઉત્સુક છે.
અમરેલી : અહીં બાલભવન પાસે આવેલા પૌરાણિક શ્રી રામજી મંદીર ખાતે બપોરે અન્નકુટ મહોત્સવ અને રામજન્મોત્સવ આયોજિત કરાયો છે. એવી જ રીતે ગજેરાપરામાં રામમંદિરે વિષ્ણુયાગ તેમજ રાતે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું છે.
માણાવદર : અહીં ભગવાન રામચંદ્રજી અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિન ધામધુમથી ઉજવવામાં આવશે. જેમાં માણાવદર શહેર અને તાલુકાભરના લોકો જોડાશે. શોભાયાત્રામાં સ્થાનિક વિહિપ અને પ્રજાજનોના સંયુકત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રા નીકળશે.આ શોભાયાત્રા રામમંદિરેથી પ્રારંભ થશે અને તાલુકાભરમાંથી આવેલા ફલોટસ સાથે શહેરમાં પસાર થશે. વિહિપના આગેવાન પોપટભાઈ દેકીવાડીયા, સુરેશ ગેલવાણી, બચુભાઈ આંત્રોલિયા ,રમેશભાઈ મેંદપરા, અશોક અછડા પાલિકા પ્રમુખ પ્રવીણાબેન દેલવાડિયા સહિતના આગેવાનો સિંધીસમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાશે. ઉતમ રીતે બનેલા ફલોટસની સ્પર્ધા પણ આયોજિત કરાઈ છે. જેમાં ૧ થી ૩ ક્રમાંક આપી ઈનામ આપવામાં આવશે.
સલાયા : સલાયામાં રામનવમીની ભવ્ય રીતે ઉજવણી કરાશે. અને ભવ્ય શોભાયાત્રા નીકળશે. રામભકતો દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે.
જેતપુર : એક તરફ સીતાજી એક તરફ લક્ષમણજી બીચ મેં જગત કે પાલનહારી શ્રી રામજીની જયધોષ સાથે આવતીકાલે બપોરે ૩ કલાકે અત્રેના ભાદરનદીના કિનારે આવેલ નૃસીંહ મંદિર ખાતેથી રામના પ્રાગટય મહોત્સવ નિમીતે શોભાયાત્રાને મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય બાલકૃષ્ણ લાલજી મહારાજ પ્રસ્થાન કરાવશે.રામ જન્મોત્સવ નિમીતેશહેરને સુશોભીત કરાયું છે. શોભાયાત્રામાં અનેક મંડળીઓએ ફલોટસ બનાવ્યા છે. આ મહોત્સવને રંગે-ચંગે પરા પાડવા રામ જન્મોત્સવ સમિતિના પ્રમુખ હિતેશ રાઠોડ સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.