વડોદરા,તા૩૧
સંખેડા તાલુકાના ઝવેરપુરા ગામે રહેતા મિત્રની ૬ વર્ષની માસૂમ બાળા પર પાશવી બળાત્કાર ગુજારનાર હવસખોરને દાષિત ઠરાવીને જનમટીપની સજા ફટકારવાનો એડિશનલ સેસન્સ જજ શ્રીમતી એ.એન. અંજારિયાએ હુકમ કર્યો હતો. બળાત્કાર કેસના ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનાર પર જે દાગ લાગે છે તેના કારણે તેના ભવિષ્યમાં થનાર લગ્ન જીવનમાં પણ સમસ્યાઓ ઉભી થાય તેમ છે. ત્યારે નિર્દોષ બાળકી પર થયેલ કૃત્ય ધૃણાસ્પદ છે. દયા રાખીને ઓછી સજા કરવી ઉચિત નથી, હળવી સજા થાય તો સમાજ પર વિપરીત અસર પડે તેમ છે. સમાજમાં દાખલો બેસાડવા માટે કાયદામાં જણાવેલી મહત્તમ એટલે કે આરોપીને જનમટીપની સજા કરવાનો હુકમ કરુ છું.
- હળવી સજા થાય તો સમાજ પર વિપરીત અસર પડે : કોર્ટે
ઝવેરપુરા ગામમાં રહેતા આરોપી અને ફરિયાદી બંન્ને મિત્રો હતા. ગઈ તા. ૧૮-૬-૨૦૧૦ના રોજ સમગ્ર તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. આ દિવસે આરોપી નગીન મથુર તડવી મિત્રના ઘરે રોકાઈ ગયો હતો. મિત્ર નગીન તડવીને સૂવા માટે ખાટલો નાખી આપ્યો હતો. ખાટલાની બાજુમાં નીચે ફર્શ ઉપર મિત્રની ૬ વર્ષની બાળકી સૂતી હતી. મધરાતના સમયે હવસખોરે માસૂમ બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. બાળાની બૂમો સાંભળીને પરિવારજનો જાગી ગયા હતા. આ બનાવ અંગે સંખેડા પોલીસમાં બાળા પર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે હવસખોરની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. આ કેસની સુનાવણી નીકળતાં આરોપીને બાળા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં જનમટીપની સજા ફટકારવાનો એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ શ્રીમતી એ.એન. અંજારિયાએ હુકમ કર્યો હતો.