વડોદરા,તા.૩૧
શહેરમાં કાલે રામનવમી નિમિત્તે મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની શ્રધ્ધાભેર ઉજવણી કરાશે. મંદિરોમાં બપોરે ૧૨ના ટકોરે હિંડોળાના દર્શન સાથે પંજરીના પ્રસાદનું વિતરણ કરાશે. ઉપરાંત કાલે સાઇં પ્રાગટય દિન ન્મિત્તે સાંઇ મંદિરોમાં પણ ભંડારાના આયોજનો થયા છે. અને જય શ્રીરામના જયઘોષ સાથે શહેર ગુંજી ઉઠશે. તો આજે ચૈત્ર નવરાત્રી નિમિત્તે શહેરનાં માઇ મંદિરો હોમ હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ચૈત્ર નવરાત્રીના કારણે શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ર્ધાિમક વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંદિરોમાં નવરાત્રી નિમિત્તે રોજ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા હોય સવાર સાંજ ભક્તિમય માહોલ જામેલો રહે છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ અને અનુષ્ઠાન કરતા માઇ ભક્તો માટે આઠમ મહત્વનો દિવસ હોય છે આજના દિવસે હોમ હવન કરીને અનુષ્ઠાનને પૂર્ણ સ્વરૂપ અપાય છે એટલે આજે માઇ મંદિરોમાં આઠમના હવન યોજાયા હતા. દર્શનાર્થીઓની ભીડ સવારથી જ જામેલી રહી હતી. વળી હવનની સાથે મંદિરોમાં પ્રસાદીનું આયોજન કરાયું હતું. કાલે રામનવમીનો પવિત્ર દિવસ છે. શહેરના મદનઝાંપા રોડ પર આવેલા રામજી મંદિર સહિત અન્ય મંદિરો અને આશ્રમોમાં પ્રભુ રામલલ્લાના જન્મ દિવસની ઉજવણી થશે. સૂર્યવંશી પ્રભુ રામનો જન્મ બપોરના ૧૨ વાગ્યે થયો હોવાથી મંદિરોમાં આ સમયે હિંડોળાના દર્શન અને રામને પારણે ઝૂલાવાના કાર્યક્રમો યોજાશે. રામનવમીના દિવસે સાંઇબાબાનું પણ પ્રાગટય થયું હોવાથી સાંઇ મંદિરોમાં કાલે ભંડારાના અયોજનો થયા છે