અમદાવાદ, તા. 01
વર્ષ ૨૦૨૨માં (એટલે કે આઝાદીના ૭૫માં વર્ષે )તાલિમ પામેલો સૌથી મોટો માનવ સમુદાય અને વ્યાપાર- વાણિજ્યમાં વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતો ભારત દુનિયાભરના લોકો માટે નૈતિક અવાજ બની રહેશે એમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કેલોરેક્સ ટીચર્સ યુનિર્વિસટીના ઉપક્રમે ડો. કે.આર.શ્રોફ સ્મૃતિ વ્યાખ્યાન આપતાં એનઆઈઆઈટીના સહસ્થાપક અને સીઈઓ વિજય કે. થડાણીએ જણાવ્યું હતું. 'રિરાઈટીંગ ધ એજ્યુકેશન સિસ્ટમ, બ્રેકીંગ ધ ગ્લાસ સિલિંગ' વિષયે પ્રવચન આપતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દુનિયાના અર્થતંત્રમાં ભારતે મહત્વની ભૂમિકા બજાવવાની છે અને ભારતની શિક્ષણ પધ્ધતિ આગામી વર્ષોમાં દુનિયાભરમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શક બની રહેશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિજય થડાણીએ બદલાતી પરિસ્થિતિમાં આજના શિક્ષકો અને શિક્ષણશાત્રીઓની ભૂમિકામાં ફેરફારની જરૂરિયાત દર્શાવી હતી. પ્રો. સી.કે. પ્રહલાદને ટાંકીને તેમણે જણાવ્યું કે ભારત જ્યારે આઝાદીના ૭૫મા વર્ષે પહોંચશે ત્યારે તાલિમ પામેલો સૌથી મોટો માનવ સમુદાય ધરાવતો દેશ અને વ્યાપાર વાણિજ્યમાં વિશ્વમાં અગ્રણી સ્થાન હાંસલ કરીને દુનિયાને નૈતિક અવાજ પૂરો પાડશે.
શિક્ષણ સંસ્થાની રચનામાં વ્યક્તિગત, સંસ્થાકીય અને નીતિ વિષયક નેતૃત્વ તથા જ્ઞાનમાં સરસાઈ, અસીમ દીર્ધદૃષ્ટિ જેવી બાબતો કેન્દ્ર સ્થાને હોવી જોઈએ તથા ઈરાદાઓ અને નીતિઓના અમલ વચ્ચેની ઊણપ પૂરવા માટે નેતૃત્વમાં અમાપ દીર્ઘદૃષ્ટિ હોવી જોઈએ તેવું મંતવ્ય થડાણીએ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે નવી પેઢી શિખવાનો આત્મવિશ્વાસ ધરાવે છે અને પરિવર્તન માટે ખૂલ્લું મન ધરાવે છે અને તે માઉસ ક્લીક કરતાં જ માહિતી મેળવી લે છે. શિખનારની અજોડ જરૂ રિયાતો પૂર્ણ કરવા માટે તેમણે શિક્ષણ અને શિખવાની પ્રક્રિયામાં પરિવર્તનકારી ટેકનોલોજીની થડાણીએ હિમાયત કરી હતી.
- રિરાઈટીંગ ધ એજ્યુકેશન સિસ્ટમ, બ્રેકીંગ ધ ગ્લાસ સિલિંગ વિષય પર ડો. કે.આર. શ્રોફ સ્મૃતિ વ્યાખ્યાન
થડાણીએ શિક્ષકની નવી ભૂમિકા અંગે પ્રકાશ પાડતાં જણાવ્યું કે તે ફેસીલિટેટર હોવો જોઈએ. આવતીકાલના શિક્ષકના ગુણોની યાદી આપતાં તેમણે શિખનાર પાસેથી શિખવાની ઈચ્છા, ધીરજ, કરૂણા, પ્રોત્સાહન, સંભાળ, નવિનતા અથવા જુગાડ તથા માત્ર વિજેતા બનવા માટે જ શિક્ષણ નહીં પણ મોટી યોજનામાં નિષ્ફળતા મળે ત્યારે તેને પચાવવા જેવી બાબતોને આવશ્યક ગણાવી હતી.