જામનગર તા.૧:
જામનગર-રાજકોટ હાઈવે ઉપર હાપા જવાના માર્ગે પાણીના કુદરતી વહેણનું પુરાણ બંધ કરી દેવામાં આવતા પાણીનો નિકાલ અવરોધાયો છે અને આ અંગે સંબંધીત વિભાગો દ્વારા તાત્કાલીક કામગીરી કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં વરસાદી પાણીના તળાવ ભરાઈ જવા સાથે આ વિસ્તારમાં મોટી તબાહી સર્જાવાની ભીતી ઉભી થઈ છે.
- જામનગર-રાજકોટ હાઈવે ઉપર અત્યારથી જ ભરાયા પાણી : આગામી ચોમાસામાં પાણીના નિકાલની મોટી સમસ્યા સર્જાશે
કોઈ પણ હાઈવેની બંને તરફ રસ્તા અને ઉપયોગમાં લેવાની જમીન વચ્ચે પાણીના કુદરતી વહેણની જગ્યા ખાલી રાખવામાં આવતી હોય છે અને હાઈવે ઉપરથી નીચે ઉતરવા માટેનો રસ્તો બનાવાય ત્યારે મોટા પાઈપ નાખીને કે પુલીયુ બનાવીને રસ્તો બનાવવામાં આવે છે. જો કે જામનગર-રાજકોટ હાઈવે ઉપરથી હાપા જવાના માર્ગ પાસે અગાઉ રહેણાંક ઝોનમાં સમાવિષ્ઠ એવા વિસ્તારમાં ઉભા કરી દેવાયેલા ઓટો કંપનીના શોરૂમ આગળ કુદરતી પાણી નિકાલના વહેણને બુરી દેવાયુ છે. જેનાથી અત્યારથી જ પાણી ભરાવા લાગ્યા છે.
શોરૂમમાં સરળતાથી અવરજવર થઈ શકે તે માટે આગળની વિશાળ જગ્યામાં પુરાણ કરી દેવાયું છે. જેનાથી આ સમગ્ર વિસ્તારના પાણીના નિકાલનો પ્રશ્ન ઉભો થયો છે. હાલ ઉનાળો હોવા છતાં આ જગ્યાએ ગંદા પાણીનું તળાવ ભરાઈ ગયુ છે. આ શોરૂમની પાછળ વિશાળ વિસ્તાર, રહેણાંકના મકાનો સહિતની કોલોનીઓ આવેલી છે. તેના ઈન્ટરનલ માર્ગો તો દબાવી જ લેવાયા છે. વધારામાં શોરૂમની આગળ નવા-જુના વાહનો સરળતાથી પાર્ક થઈ શકે તે માટે જાહેર મિલ્કત એવી ખુલ્લી જગ્યા અને ખાડ દબાવી દેવાઈ છે.
આ વિસ્તારનું તમામ પાણી શોરૂમ સામેથી પસાર થઈને છેક ઓવરબ્રીજ તરફ વહે છે. આ વહેણ બંધ થઈ જતા આગામી ચોમાસામાં પાણી ભરાવવાની મોટી સમસ્યા સર્જાવાની ભીતી ઉભી થઈ છે. આ જગ્યાની બરોબર સામે સુચારૂરૂપે પાણીનું કુદરતી વહેણ યથાવત રાખવામાં આવ્યું છે. જયારેકે હાઈવે અંદરથી આવવા જવા માટેના માર્ગમાં પણ પાઈપો નાખવામાં આવી છે. ત્યારે તેની બરોબર સામેની જમીન “સાડા હક્ક” સમજીને વાળી લેવામાં આવી છે. જેથી આ જગ્યાએ ભરાનારા પાણી હાઈવે ટપીને સામે જઈ શકે તેમ નથી.
જાડા, પીડબલ્યુડી, વન વિભાગ વગેરે સંબંધીત વિભાગો ગજવામાં હોય એ રીતે થઈ ગયેલી આ પેશકદમી તાત્કાલીક નહીં હટાવવામાં આવે તો આ સમગ્ર વિસ્તાર ડુબમાં જાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.