સુરત, તા. ૧
કાપોદ્રામાં રહેતા ૧૭ વર્ષીય કિશોરનું સેન્ડવીચ ખાધા બાદ અચાનક તબિયત લથડતા મોત થયું હતું. ધો.૧૧ કોમર્સમાં અભ્યાસ કરતા કેતન ધંધુકિયાનું મોત ફૂડ પોઇઝનિંગને કારણે થયું હોવાની શક્યતા છે.નવી સિવિલ હોસ્પિટલ તથા કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કાપોદ્રા ચાર રસ્તા ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો ૧૭ વર્ષીય કેતન રમેશભાઇ ધંધુકિયા (પ્રજાપતિ) ની ગત સાંજે ઘરમાં સેન્ડવીચ ખાધા બાદ તબિયત લથડી હતી.
- ૧૭ વર્ષીય કેતન ધંધુકિયાની પેટમાં દુઃખાવા બાદ તબિયત લથડી હતી
- ફૂડ પોઇઝનિંગને કારણે મોત થયું હોવાની સંભાવના
પેટમાં દુઃખાવો ઉપડવા સાથે ચક્કર આવવા લાગતા તે બેભાન થઇ ગયો હતો. પરિવારજનો તુરંત તેને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલ બાદ સુરત સિવિલમાં સારવારાર્થે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેતન વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી નાલંદા વિદ્યાલયમાં ધો.૧૧ કોમર્સમાં ભણતો હતો, તેનો પરિવાર મૂળ અમરેલીનો વતની છે. પિતા હીરાના કારખાનામાં કામ કરે છે. નાનો ભાઇ ભાવિન ધો.૨માં ભણે છે. ગતરોજ ઘરમાં બનાવેલી સેન્ડવીચ ખાધા બાદ અચાનક તબિયત લથડતા કેતનનું મોત થતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. કેતનની લાશનું સ્મીમેર હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. ફૂડ પોઇઝનિંગને કારણે મોત થયું હોવાની શક્યતા છે. જો કે, પીએમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ થશે. કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.