વડોદરા,તા.૧
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો)ના રાજકોટના યૂવાન એન્જિનિયર ડી.યુ.રાઠોડના ચાલુ ફરજે કરંટ લાગતાં મોતના બનાવની જીઇબી એન્જિનિયર્સ એસો.દ્વારા કરાયેલી ત્રિપક્ષી તપાસની માંગણીને ફગાવી દેવાઇ છે.જેના પગલે એન્જિનિયર્સ એસો.ના સભ્યોમાં મેનેજમેન્ટ સામે રોષની લાગણી જન્મી છે.
જીઇબી એન્જિનિયર્સ એસો.ના જનરલ સેક્રેટરી આર.બી.સાવલિયાએ જણાવ્યં હતું કે, ગત તા.૧૬મી માર્ચના રોજ રાજકોટના ન્યારા સબ સ્ટેશનના ૨૮ વર્ષના જ યુવાન એન્જિનિયર ડી.યુ.રાઠોડના ચાલુ ફરજે કરંટ લાગતાં નીપજેલા મોતના પ્રકરણમાં કરંટ કેવી રીતે લાગ્યો તેની તટસ્થ પક્ષ સાથેની ત્રિપક્ષી તપાસની માંગણી જીબિયાએ કરી હતી પણ તેને ફગાવી દેવાઇ છે.
- રપ લાખની ટેસ્ટિંગ કિટના ઉપયોગ દરમિયાન કરંટ લાગતા મોત થયું હતું
- એન્જિનિયર્સ એસો.ના સભ્યોમાં રોષ
જીબિયાની માંગણી સરકારના પ્રતિનિધિ,જેટકોના પ્રતિનિધિ અને કંપનીના પ્રતિનિધિની ત્રિપક્ષી નિષ્ણાત સમિતિ રચવાની હતી. આ બનાવમાં રૂ.૨૫ લાખની કિંમતની લાઇન ફોલ્ટ ડિટેકટર તરીકે ઓળખાતી ટેસ્ટિંગ કિટ કે જે ગુજરાતમાં એક માત્ર જ છે તેના ઉપયોગ બાદ ડી.યુ.રાઠોડને કરંટ લાગતાં કિટ ફોલ્ટી હતી કે કેમ ?તેની તપાસ માટે ત્રણ નિષ્ણાતોની કમિટી રચવાની માંગણી કરાઇ હતી પણ સપ્લાયર કંપની અને જેટકોના નિષ્ણાત દ્વારા કિટની ચકાસણી કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે.
દરમિયાનમાં એવી પણ ચર્ચા ચાલે છે કે, કિટ સપ્લાયર કંપની દ્વારા કિટનું કેવી રીતે ઓપરેશન કરવું તેનું કોઇ જ મેન્યુઅલ તૈયાર કરાયું ન હતું. હેવી ઇન્ડકશન એટલે કે કરંટ સામે કેવી રીતે રક્ષણ મળે તે અંગે પણ ચકાસણી થઇ હતી કે કેમ ? ઇરડા કે તેની સમકક્ષ લેબોરેટરીમાંથી પ્રમાણપત્ર આ કંપનીએ કિટ માટે મેળવ્યું હતું કે કેમ? કિટનો કેવી રીતે ઉપયોગ કરવો તેની ટ્રેનિંગ અપાઇ હતી કે કેમ તે તપાસમાં જ બહાર આવશે.
મૃતક યુવાનના કુટુંબ પ્રત્યે ઉપેક્ષા
વડોદરાઃ જેટકોના ૨૮ વર્ષના યુવાન એન્જિનિયરનું કરંટ લાગતાં નીપજેલા મોતના બનાવને ૧૫ દિવસ થઇ જવા છતાં પણ આજદિન સુધી જેટકો મેનેજમેન્ટના કોઇ જ ઉચ્ચ અધિકારીઓએ મૃતકના પરિવારને મળીને દિલસો પાઠવ્યો નથી.
જેટકોના સત્તાધીશો શું કહે છે ?
જેટકો મેનેજમેન્ટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવાન એન્જિનિયરના મોતના બનાવ અંગે ઇલેકટ્રિકલ ઇન્સ્પેકટરના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત જેટકોના સ્થાનિક ઉચ્ચ અધિકારીઓએ મૃતકના પરિવારની સાથે જ રહ્યા હતા.પોસ્ટમોર્ટમ તથા બીજી વિધિ વખતે પણ અધિકારીઓ હાજર હતા.ગત સપ્તાહમાં જ એન્જિનિયરના વાલી વારસને જરૂરી લાભના ચેક આપ્યા છે.વર્કમેન કોમ્પનશેસન એકટ મુજબ પણ જરૂરી વળતર ચૂકવાશે.