ક્લિનિક કેર - ડો. નિહારિકા મહેતા
ગર્ભાવસ્થામાં દર્દ નિવારક દવા લેવી કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે?
ગર્ભાવસ્થામાં દુખાવાની દવા બાળક અને મા બંને માટે હાનિકારક સાબિત થાય છે. લાંબા સમય સુધી આવી ગોળીઓનું સેવન બાળકનાં પ્રજનન અંગો પર વિપરીત અસર પહોંચાડે છે. જો ગર્ભમાં દીકરો હોય તો તેમાં શુક્રાણુની ગુણવત્તા પ્રભાવિત થાય છે તેમજ આવા બાળકને ભવિષ્યમાં વૃષણનું કેન્સર થવાની પણ સંભાવનાઓ રહે છે. તદુપરાંત દવાની વિપરીત અસર ભ્રૂણના હોર્મોન્સ પર પણ પડે છે. ખાસ કરીને ગર્ભાવસ્થાના ચારથી છ મહિના દરમિયાન દર્દ નિવારક ગોળીઓ લેવાથી તેનું જોખમ શીશુ પર વધી જાય છે.
મારી ઉંમર ૨૨ વર્ષની છે અને હું પ્રેગ્નન્ટ છું. શું પ્રેગ્નન્સી દરમિયાન વેક્સિંગ કરી શકાય?
ગર્ભાવસ્થામાં લોહીનું સર્ક્યુલેશન ઝડપથી થાય છે, તેથી વેક્સિંગ કરતા પહેલાં હાથમાં કે પગમાં થોડી જગ્યા પર વેક્સિંગ કરી ચેક કરી લેવું જોઈએ કે. તેની કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે? વેક્સિંગ પછી ફોડલી થવી કે ખંજવાળ આવવી જેવી સાઇડ ઇફેક્ટ ન થાય તો જ આગળ વેક્સિંગ કરી શકાય. તેમજ વેક્સિંગ કરતી વખતે પાવડર લગાડો. જેથી વેક્સિંગ જલદી સુકાઈ જશે અને ખંજવાળ નહીં આવે. આ સમય દરમિયાન ત્વચા વધુ સંવેદનશીલ બની જાય છે અને ત્વચા પર માર્ક્સ પડવાની પણ શક્યતાઓ વધી જાય છે, તેથી વેક્સિંગ સ્ટ્રીપને ખેંચતી વખતે સ્કીનને ટાઇટ પકડી રાખવી જેથી નિશાન ન પડે. વેક્સિંગ પછી ત્વચા પર મોશ્ચરાઇઝર ક્રીમ લગાવી લેવું જેથી રાહત રહે છે. તેમજ જો વેક્સિંગ સમયે લોહી આવી જાય કે ઉઝરડા થઈ જાય તો બરફ પણ ઘસી શકાય છે. આ રીતે તમામ પ્રકારની કાળજી રાખીને વેક્સિંગ કરી શકાય.
શું ગર્ભાવસ્થા દરમિયાન બ્યુટી ટ્રીટમેન્ટ લઈ શકાય?
ગર્ભાવસ્થા દરમિયાન ચહેરા પર ફેશિયલ કરી શકાય તેનાથી મા કે બાળકને કોઈ નુકસાન થતું નથી, પણ ફેશિયલમાં એક શરત ચોક્કસ છે કે, તેમાં વપરાતી ક્રીમ સારી કંપનીની હોવી જોઈએ. હેર કલર કરવામાં ચોક્કસ સાવધાની રાખવી જોઈએ અને જો કલરથી એલર્જી થતી હોય તો તે કરવાનું ટાળવું જોઈએ. લિપસ્ટિક તેમજ બોડીલોશન કોઈ લોકલ કંપનીનું ઉપયોગ ન કરતા બ્રાન્ડેડ જ પસંદ કરવુ જોઈએ.
પ્રેગ્નન્સી દરમિયાન નાળિયેર ખાવાની સલાહ આપવામાં આવે છે, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?
નાળિયેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેરમાં ફાઇબર, કેલ્શિયમ, વિટામિન સી વગેરે અનેક પોષકતત્ત્વો હોય છે, તેથી નાળિયેર ખાવું ફાયદાકારક રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સમાં બહુ મોટું પરિવર્તન આવે છે, તેથી ગર્ભવતી મહિલાને નાની મોટી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે પણ આ સમય દરમિયાન નાળિયેર ખાવાથી આ નાના મોટી પરેશાનીમાં રાહત મળે છે, કારણ કે નાળિયેરમાં બાળક અને માને પૌષ્ટિકતા આપવાની ક્ષમતા રહેલી છે. નાળિયેર પીવાથી પેશાબ ખુલાસાથી આવે છે, તેથી ગર્ભવતી મહિલાને પેશાબ સંબંધિત ઇન્ફેક્શન પણ નહીં થાય. ગર્ભાવસ્થા દરમિયાન ડિહાઇડ્રેશન અને થકાવટની સમસ્યા પણ થતી હોય છે ત્યારે નાળિયેરનું પાણી આ સમસ્યાને દૂર કરે છે. ટૂંકમાં, ગર્ભાવસ્થામાં નાળિયેરનું સેવન દરેક રીતે હિતકારી છે.
મારી ઉંમર ૩૪ વર્ષની છે અને હું પ્રેગ્નન્ટ છું, પણ ડોક્ટરના કહેવા મુજબ મારા શરીરમાં આયર્નની ઉણપ છે તો શું તે ચિંતાનો વિષય છે?
ગર્ભાવસ્થામાં મહિલામાં સામાન્યથી ૫૦ ટકા વધુ લોહીની માત્રા હોવી જોઈએ. જે આયર્ન પૂરી પાડે છે. આયર્નની ઉણપથી એનીમિયા થઈ શકે છે અને એનીમિયાથી સમય પહેલાં ડિલિવરી કે અલ્પવિકસિત શીશુ થવાની સમસ્યા પણ વધી જાય છે, તેથી આયર્ન હોવું જરૂરી છે. ગર્ભાવસ્થામાં બીજા અને ત્રીજા માસમાં બાળકને આયર્નની વધારે જરૂરિયાત હોય છે, તેથી પણ ગર્ભાવસ્થામાં મહિલાને વધુ આયર્નની જરૂરિયાત રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન હેલ્ધી મહિલાએ રોજ ૩૦ મિલીગ્રામ આયર્ન લેવું જોઈએ અને એનીમિયાથી ગ્રસ્ત ગર્ભવતી મહિલાએ રોજ ૧૨૦ મિલીગ્રામનું આયર્ન સપ્લિમેન્ટ લેવું જોઈએ.