લો ફોર લેડીઝ - એન. એમ. ધારાણી (નિવૃત જજ)
હિન્દુ લગ્નધારાની જોગવાઈ મુજબ પત્ની કેટલાંક કારણોસર છૂટાછેડા મેળવી શકે છે. જેમાંનું એક કારણ ક્રૂરતા પણ છે તેથી અહીં ક્રૂરતાનો અર્થ સમજવો જરૂરી છે. ક્રૂરતાના સંદર્ભે સ્ત્રી કેવા કેવા સંજોગોમાં છૂટાછેડા લઇ શકે છે. ક્રૂરતા શારીરિક, માનસિક હોઈ શકે છે. કાયદાની જોગવાઇ સાથે ક્રૂરતાના કારણને વિસ્તારથી સમજીએ.
શારીરિક ક્રૂરતા
શારીરિક ક્રૂરતાની વાત કરીએ તો પતિ દ્વારા પત્નીને મારપીટ કરવામાં આવતી હોય, તેમના સ્વાસ્થ્યને નુકશાન થાય તે પ્રકારનો ખરાબ વ્યવહાર કરવામાં આવતો હોય, પત્નીની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું વર્તન પતિ દ્વારા કરવામાં આવતું હોય, અથવા પત્નીની કારકિર્દીને નુકસાન થાય તેવા પ્રયત્નો સાસરિયાં પક્ષે કરવામાં આવતા હોય, પત્ની પતિ સાથે રહેવામાં ભય અનુભવતી હોય, પત્નીને કડવાં વેણ બોલવામાં આવતાં હોય, પત્નીને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલવામાં આવતી હોય વગેરે કારણોને લઇને પત્ની છૂટાછેડા લઈ શકે છે. આવા જ એક કેસના સંદર્ભની વાત કરીએ તો રાજસ્થાન હાઈકોર્ટે આપેલા એક જજમેન્ટ મુજબ રાધા મોહન વિરુદ્ધ લલિતાદેવીના કેસમાં પતિ બીજી સ્ત્રીના સાથે સંબંધ ધરાવતો હતો, બદચલન હતો, બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનું વચન આપેલું હતું. આ બધાં જ કારણો પણ ક્રૂરતા ગણાય. જેના લીધે છૂટાછેડા મેળવી શકાય છે.
માનસિક ક્રૂરતા
માનસિક ક્રૂરતાનો અર્થ સમજીએ તો પત્ની માનસિક અશાંતિમાં જીવતી હોય, પતિનો અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોય, પતિ પત્ની સાથે સહશયન કરવાનો ઈન્કાર કરતો હોય. પતિ પત્ની સામે ખોટા દોષયુક્ત આક્ષેપો કરે, પતિ પત્ની સાથે કારણ વગરનું સખતાઈવાળું કઠોર વર્તન કરે, પત્ની સાથે બળપૂર્વક જાતીય વ્યવહાર કરે, જીવનના વાજબી આનંદમાં વારંવાર દખલગીરી કરે, અશાંત વાતાવરણ ઊભું કરે, પતિનું વર્તન એવું હોય કે સહવાસ અશક્ય બને, એક સારા પતિ તરીકે પત્ની તરફ જે વર્તન, ભાવ હોવો જોઇએ તે ન હોય વગેરે માનસિક ક્રૂરતા જ ગણાય. આ કારણોને લીધે સ્ત્રી છૂટાછેડા મેળવી શકે છે.
મુસ્લિમ કાયદાની વાત કરીએ તો એક કરતા વધુ પત્નીના કિસ્સામાં જો પતિ એક પત્ની પ્રત્યે સમભાવ રાખતો હોય અને બીજી પત્નીની ઉપેક્ષા કરતો હોય તો તે પણ ક્રૂરતા કહેવાય તેમજ બે પત્નીમાં એક પત્ની બીજી પત્ની સાથે ખરાબ વ્યવહાર કરતી હોય તો તે પણ ક્રૂરતા છે. પતિ સિદ્ધાર્થ શેટી વિરુદ્ધ મુની અમાનાના કેસમાં શેટીને બે પત્ની હતી, પરંતુ પ્રથમ પત્ની બીજી પત્ની સાથે ખરાબ વર્તન કરતી હતી અને પતિ તેને રોકતો ન હતો. આ નિષ્ક્રિય ક્રૂરતા છે. ટૂંકમાં આ તમામ કારણોને લીધે પત્ની પતિ સાથે છૂટાછેડા લઈ શકે છે.