ભાવનગર,તા.ર
ભાવનગર જીલ્લામાં છેલ્લા એક સપ્તાહમાંજ વાહન અકસ્માતના બનાવની ઘટનાઓમાં કાળમુખા રોડ અકસ્માતોએ માનો પાંચ જેટલા જીવો લીધા છે ત્યાંજ જીલ્લામાં એક જ રાતમાં જુદા જુદા બે અકસ્માતોના બનાવ બનતા બે મિત્રો સહિત ત્રણના વાહન અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ જેટલા યુવકોને ગંભીર ઈજાઓ પહોચતા તમામને સારવાર્થ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- ઘોલેરા નજીક ટોરસ ટ્રક પાછળ આઈસર ઘુસી જતા પાલીતાણાના ડ્રાઈવરનું મોત
- બરવાળા માતાજીના માંડવામાંથી પરત ફરતા ઓભાલીયાના બે મિત્રોને કાળનુ તેડુ
- સપ્તાહમાં જ સાત વ્યક્તિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો
પ્રથમ બનાવની ઉપલબ્ધ થતી વિગતો મુજબ નાગઘણીબા ગામેથી લીગ્નાઈટ કોલસો ભરી અમદાવાદ જતો આઈસર ટેમ્પો નં.જીજે.૪.જી.પ૦૬૮ ગત રાત્રીના ૧-૩૦ કલાકના અરસા દરમ્યાન નારી ચોકડીથી જતા ભાવનગર-ઘોલેરા હાઈવે પર મોમાઈમાતાના મંદિરથી એકાદ કિ.મી. આગળ પહોચતા આઈસર ટેમ્પાના ચાલક ઘનજીભાઈ પાંચાભાઈ ડાભી (ઉ.વ.૪૬, રહે.પાલીતાણા, તળાવ પાસે)એ ટેમ્પાને પુરપાટ ઝડપે ચલાવી સ્ટીયરીંગ પર કાબુ ગુમાવી દિધો હતો અને રોડની સાઈડ પર બંધ હાલતમાં પડેલા ટોરસ ટ્રક સાથે ધડાકાભેર ટેમ્પો અથડાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોના ચાલક ઘનજીભાઈ ડાભીને ગંભીર હાલતમાં ભાવનગર ફાયર બ્રિગેડના સ્ટાફે બહાર કાઢી હોસ્પીટલ ખસેડયો હતો જ્યાં બાદમાં ટેમ્પો ચાલક ઘનજીભાઈ પાંચાભાઈ ડાભીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટેમ્પોના માલિક બકુલભાઈ હિંમતભાઈ ચૌહાણએ મૂતક ટેમ્પો ચાલક ઘનજીભાઈ ડાભી વિરુધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવની મળતી વિગતો મુજબ ગઢડા તાલુકાના ઓભાલીયા ગામે રહેતા કોળી યુવાન દિલીપભાઈ મુળજીભાઈ પરમાર અને તેના મિત્રો બરવાળા ખાતે આયોજીત માતાજીના માંડવામાં ગયા બાદ પરત ફરી વળ્યા હતા ત્યારે રાત્રીના ૧-૦૦ના અરસા દરમ્યાન વલભીપુરના મૂળધરાઈગામ નજીક પહોચતા સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટાટા ૪૦૭ નં.આર.એક્સ.૧૮.જીએ.૦૦પરના ચાલકે બાઈકને અડફેટે લેધી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક દિલીપભાઈ મુળજીભાઈ પરમાર અને પિન્ટુભાઈનામના યુવાનીનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ જેટલા યુવાનોને ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલીક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ટાટા ૪૦૭નો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વલભીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેબનીય છે કે ભાવનગર જીલ્લામાં છેલ્લા થોડા સમયથી રોડ અકસ્માતોની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે. અને માત્ર એક સપ્તાહમાંજ બે માસુમ બાળકો સહિત છ થી સાત જેટલી જીંદગીઓનો ભોગ લેવાયો છે.