સુરત તા.૩
પાંડેસરાના રહીશોને છેલ્લાં ઘણાં સમયથી ત્રાસ આપતો આખલો આજરોજ એક ૯૦ વર્ષના વૃદ્ધની જિંદગી ભરખી ગયો હતો. બેકાબૂ બનેલા આખલાએ વૃદ્ધને ઝપેટમાં લઇ શિંગડામાંથી ઊંચકીને જમીન પર ફંગોળી દીધા હતા. ગંભીર ઇજાને કારણે વૃદ્ધનું મોત થયું હતુ. બનાવને પગલે સ્થાનિક રહેવાસીઓ ભયભીત થઇ ગયા હતા.
- વૃદ્ધને શિંગડામાંથી ઊંચકીને જમીન પર ફંગોળ્યા હતા
પાંડેસરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પાંડેસરામાં લક્ષ્મીનગર સોસાયટી ખાતે રહેતા પ્રહલાદભાઇ હાતુભાઇ પાત્ર(૯૦) આજે સવારે સાતેક વાગ્યે ઘર નજીકના લક્ષ્મી નારાયણ મંદિરે દર્શનાર્થે ગયા હતા. જ્યાં દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક આખલો તેમના તરફ ધસી આવ્યો હતો. આખલાએ પ્રહલાદભાઇને ઝપેટમાં લઇ શિંગડામાં ભેરવી ઊંચકી લીધા હતા. બાદમાં ગોળગોળ ફેરવી તેમણે જમીન પણ ફેંકી દીધા હતા. પ્રહલાદભાઇને ગંભીર ઇજા થતા સારવારાર્થે સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતુ. મુળ ઓરિસ્સા-ગંજામના વતની પ્રહલાદભાઇને સંતાનમાં ૧ પુત્ર છે. પાંડેસરા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વધુમાં લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી આખલો ત્રાસ મચાવી રહ્યો છે. જેને કારણે સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે ત્યારે આખલાએ આજરોજ એક વૃદ્ધની જિંદગી છીનવી લેતા રહીશોમાં ભયનું મોજું ફરી વળ્યું છે.