સુરત, તા.૩
માત્ર સુરત જ નહિ પણ ગાંધીનગર સુધી આઇપીએસ લોબીમાં ઘરોબો અને વગ ધરાવતા કેમિકલના વેપારીનો સોમવારે પોલીસ દ્વારા કઢાયેલો વરઘોડો શહેરના ચોક્કસ વર્ગમાં ભારે ચકચાર મચી હતી. બિલ્ડર્સથી લઇ મિલમાલિકોથી માંડી કપડા અને હીરાના વેપારીઓમાં લોબિસ્ટ તરીકે ઠીક ઠીક જાણીતા સમીર નામના આ વેપારીને ગઇ કાલે પીસીબીએ ઊંચક્યો હતો. પોલીસે આ વેપારીના ઘર તથા ઉધનાના ગોડાઉનમાં પણ તપાસ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ જેને પોંખતાં થાકતા નથી એવા વેપારીનો આ રીતે કાઢવામાં આવેલા વરઘોડા પાછળના કારણ અંગે જાતજાતની વાતો ચર્ચાવા માંંડી છે. જો કે પોલીસ આ બાબતે નનામી અરજીના પગલે કરવામાં આવેલી કાર્યવાહી જણાવી રહી છે.
- નાનપુરામાં રહેતા, ઉધનામાં ગોડાઉન ધરાવતા વેપારીની નનામી અરજીથી આકરી તપાસ
- આઇપીએસ ઓફિસર્સ લોબિસ્ટની પોલીસ દ્વારા કરાયેલી ખાતરદારી ચર્ચાનો વિષય બની
શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા અને કેમિકલના વેપાર સાથે સંકળાયેલા સમીર નામના શખ્સની પોલીસખાતામાં ભારે બોલબાલા છે. નાના કર્મચારીઓ તો શું ઇન્સ્પેક્ટર્સ પણ આ શેઠને આવકારતા થાકતા નથી. સમીરભાઇ સાથે સંબંધ એ પોલીસ અધિકારીઓ માટે જાણે વધારાની લાયકાત જેવું ગણાવા માંડયું છે. આ પરિસ્થિતિ પાછળનું કારણ સમીરનો આઇપીએસ લોબી સાથેનો ઘરોબો છે. શહેરમાં ફરજ બજાવી ગયેલા અને બજાવી રહેલા પૈકી ભાગ્યે જ કોઇ એવો આઇપીએસ ઓફિસર હશે કે જેની ચેમ્બરમાં જવા માટે સમીરે પરવાનગી લેવી પડે.
છેક ગાંધીનગર સુધીની પહોંચ ધરાવતા આ મહાશય તેમની લોબિસ્ટ તરીકેની છાપ અને કામ કઢાવી આપવાની ક્ષમતાના કારણે શહેરના ચોક્કસ વર્ગમાં જાણીતા અને માનીતા બની ચૂક્યા છે. આ સમીર શાહને ગઇ કાલે પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચ ઉપાડી લાવી હતી. ઉચ્ચ અધિકારી સહિત પીસીબીના સ્ટાફે આ સમીરની ખાસ્સી લાંબી પૂછપરછ કરવા સાથે સારી એવી ખાતરદારી પણ કર્યાનું કહેવાય છે. સમીરની આ રીતે કરાયેલી તપાસ પાછળનું કારણ જાણવા માટે સંબંધિત વર્તુળ દ્વારા ભારે પ્રયાસ કરવામાં આવ્યા હતા.
બિલ્ડર્સથી લઇ મિલમાલિકોથી માંડી કપડા અને હીરાના વેપારીઓમાં લોબિસ્ટ તરીકે ઠીક ઠીક જાણીતા સમીર નામના આ વેપારીને પોલીસ તપાસ માટે તેના નાનપુરા વિસ્તારમાં આવેલા ઘર તથા ઉધના વિસ્તારમાં આવેલા ગોડાઉને પણ લઇ ગયાની વાત છે. સાહેબોના માનીતા એવા આ મહાશયની કરવામાં આવેલી તપાસ અંગે પીસીબી દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે અરજીના કામે તેની તપાસ કરાઇ રહી છે. જો કે સમીર સામે અરજી કોણે અને શું ફરિયાદ સાથે કરી એ અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી, નનામી અરજી થયાનું કહેવામાં આવી રહ્યું છે.