અમદાવાદ, તા.૩
ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ પરિમલ ત્રિવેદી સામે એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલી ફરિયાદની તપાસમાં પોલીસ દ્વારા કોઇ વિલંબ કરવામાં આવ્યો નહીં હોવાની રજુઆત સાથેની એફીડેવિટ જસ્ટીસ જે.સી. ઉપાધ્યાય સમક્ષ પોલીસે કરી છે. એફિડેવિટમાં એવી રજુઆત કરવામાં આવી છેકે આ કેસમાં અલગ-અલગ તબક્કે એ સમરી- બી સમરી રીપોર્ટ તપાસને અંતે રજુ કરવામા આવ્યા હતા. જે નામંજુર થતાં તપાસ લંબાઇ હતી. એફિડેવીટ ફાઇલ કરનાર તપાસ અધિકારીએ એવું પણ જણાવ્યું હતુંકે આ કેસમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમણે સમયસર ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે.
- તપાસમાં વિલંબ કર્યો હોવાના મામલે થયેલી પિટિશનમાં એફિડેવિટ
એસીપી દિપસિંહ ડી. ચૌધરી દ્વારા હાઇકોર્ટ સમક્ષ એફિડેવીટમાં એવું જણાવ્યું છે કે કુલપતિ વિરુદ્ધ જાતીવાચક અપમાનજનક શબ્દો બોલવાના મામલે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ તપાસ પુરી થતાં તે જ દિવસે મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ કેસમાં તપાસ ૩૦ દિવસમાં પુર્ણ કરી તે અંગે ઉચ્ચ અધિકારીઓ તેમજ સરકારમાં જાણ કરવાની હોય છે. તે કાર્યવાહી તપાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી.
આ કેસમાં અલગ-અલગ તબક્કે એ સમરી -બી સમરી અહેવાલ રજુ થયા છે તે સ્થીતીમાં પોલીસ તંત્રમાં આ કેસની તપાસમાં કોઇ વિલંબ થયો હોવાનું જણાઇ આવતું નથી. આ કેસની તપાસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેથી આ કેસમાં મોડી તપાસ બદલ દંડ કરવો યોગ્ય નથી. જસ્ટીસ જે. સી. ઉપાધ્યાયએ કેસની વધુ સુનાવણી ૨૬મી એપ્રિલ પર મુકરર કરી છે.